સુરતના સરકારી શિક્ષકો સ્કૂલમાં સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે

16 October, 2014 03:56 AM IST  | 

સુરતના સરકારી શિક્ષકો સ્કૂલમાં સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે


ટેક્નૉલૉજીનો જમાનો છે અને સ્માર્ટફોનને કારણે થોકબંધ કામો સરળ થયાં છે, એમ છતાં સુરત શહેરના સરકારી શિક્ષકો હવે પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સ્કૂલના સમય દરમ્યાન સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે અને ઑર્ડર કર્યો છે કે સ્માર્ટફોન ધરાવતા તમામ ટીચર્સે‍ સ્કૂલમાં આવીને પહેલું કામ પોતાના સ્માર્ટફોન પ્રિન્સિપાલની ચેમ્બરમાં જમા કરાવવાનું રહેશે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે સ્કૂલના ટીચર્સ ટીચિંગ-અવર્સ દરમ્યાન પણ ફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર જેવી સોશ્યલ નેટવર્ક સાઇટ અને મોબાઇલ ઍપ્સ પર વધુ ધ્યાન આપે છે. આ બંધ થાય અને બાળકોને ભણાવવાનું કામ યોગ્ય રીતે થાય એવા હેતુથી સ્કૂલના સમય દરમ્યાન સ્માર્ટફોન પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી હિતેશ માખેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ પ્રતિબંધ પછી પણ જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને શરૂઆતમાં એક વીક અને એક મહિનાનું સસ્પેન્શન આપવામાં આવશે અને એ પછી નોકરીમાંથી કાઢી મૂકવાનાં આકરાં પગલાં લેવાની પણ અમારી તૈયારી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કરેલા સર્વે મુજબ સ્માર્ટફોનને કારણે છેલ્લાં બે વર્ષમાં સ્કૂલનું રિઝલ્ટ અંદાજે ૪૦ ટકા જેટલું નબળું આવ્યું છે. બાળકોનું ભવિષ્ય બગડે નહીં એવા શુભ આશયથી સ્માર્ટફોન પર બૅન મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ માત્ર સરકારી સ્કૂલ જ નહીં, પણ પ્રાઇવેટ સ્કૂલના સંચાલકોને પણ બોલાવીને સ્કૂલના સમય દરમ્યાન સ્માર્ટફોનના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત મૂકી છે, જે દરખાસ્ત પછી સુરતની સાત સ્કૂલે દિવાળી બાદ સ્માર્ટફોનનો સ્કૂલમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ કરવાની બાંહેધરી આપી છે.

મુખ્ય પ્રધાન પણ ખુશ

ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સ્માર્ટફોન પર મૂકવામાં આવેલા બૅનના ન્યુઝ મળ્યા પછી તે ખુશ થયાં હતાં. આનંદીબહેન પોતે પણ પંદર વર્ષ સુધી ટીચર રહી ચૂક્યાં છે.