નવસારીઃવહેલી સવારે અકસ્માતમાં 6 લોકોના મોત

10 April, 2019 08:29 AM IST  |  નવસારી

નવસારીઃવહેલી સવારે અકસ્માતમાં 6 લોકોના મોત

બુધવારની સવાર સુરતના એક મહિલા મંડળ માટે કાળ બનીને ત્રાટકી છે. નવસારી પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. અક્સમાતમાં પાંચ મહિલા અને એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલા મંડળના શ્રદ્ધાળુઓ દહાણું ખાતેના મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નવસારી પાસે શ્રદ્ધાળુઓની ટેમ્પો ટ્રાવેલર ઉભી હતી. ત્યારે જ પાછળથી ધસમસતી આવેલી ટ્રકે ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારી દીધી.

સુરતનું મહિલા મંડળ ચૈત્રી નવરાત્રિને પગલે મહાલક્ષ્મી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે જ નવસારી પાસે તેમની ટેમ્પો ટ્રાવેલને પંક્ચર પડ્યું હતું. પંચર કરાવવા માટે ટેમ્પો ટ્રાવેલર ખાલી કરવામાં આવી હતી.

આ જ દરમિયાન પાછળથી આવી રહેલા પૂરપાટ ટ્રકે ટેમ્પો ટ્રાવેલને અડફેટે લીધી. જેને કારણે ટેમ્પો ટ્રાવેલ પાસે જ ઉભેલી મહિલાઓ પર પડી. અને ગાડી નીચે દબાઈ જવાને કારણે 3 વૃદ્ધાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ: બે ધોરણ ભણેલા ઇમરાને 14 બૅન્કને મૂર્ખ બનાવી

આ અકસ્માતમાં અન્ય કેટલાક શ્રદ્ધાલુઓ ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડાયા છે. સારવાર દરમિયાન પણ 2 વૃદ્ધા અને 1 વૃદ્ધનું મોત નીપજ્યું છે. હજી કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

gujarat news