સાતમ અને આઠમની રજાઓમાં પિકનિક પૉઇન્ટ બનશે નર્મદા ડૅમ

09 August, 2012 03:32 AM IST  | 

સાતમ અને આઠમની રજાઓમાં પિકનિક પૉઇન્ટ બનશે નર્મદા ડૅમ

 

 

 

ગુજરાત પર દુષ્કાળના ઓળા ઊતર્યા છે ત્યારે રાજ્ય માટે મધ્ય પ્રદેશમાં પડેલો વરસાદ આર્શીવાદ બની ગયો છે. મધ્ય પ્રદેશમાં પડેલા વરસાદને કારણે નર્મદા નદીમાં ધસમસતા પાણીએ સરદાર સરોવર નર્મદા ડૅમને છલકાવી દીધો છે. નર્મદા ડૅમ છલકાતાં એનું સૌંદર્ય માણવા લોકો ઊમટી પડ્યા છે, પરંતુ આવતી કાલે સાતમ-આઠમનો તહેવાર હોવાથી નાગરિકોને રજા મળતાં નર્મદા ડૅમ સાઇટ પર સહલાણીઓનો ધસારો વધી જશે અને ડૅમ સાઇટ પિકનિક પૉઇન્ટમાં ફેરવાઈ જશે.

 

નર્મદા ડૅમ ગઈ કાલે એની મૂળ ઊંચાઈ કરતાં ૬ મીટર ઉપરથી વહી રહ્યો હતો ત્યારે અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. ૨૦૦૬ પછી પહેલી વાર નર્મદા ડૅમની સપાટી ૧૨૮ મીટરે પહોંચી હતી.

 

 નર્મદા ડૅમના ચીફ એન્જિનિયર પી. એમ. પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ૬ વાગ્યે નર્મદા ડૅમની મૂળ સપાટીથી ઉપર જઈને ૧૨૮.૪૦ મીટરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું હતું. નર્મદા ડૅમની હાલની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર છે એટલે કે પાણી છ મીટર ઉપરથી વહી રહ્યું હતું. નર્મદા ડૅમ મિનિમમ ૩ દિવસ સુધી ઓવરફ્લો રહેશે એવું જણાઈ રહ્યું છે. હાલમાં ડૅમમાં પાણીની આવક ૧૨ લાખ ક્યુસેક છે અને પાણીની જાવક સાડાઆઠ લાખ ક્યુસેક છે.’

 

નર્મદા ડૅમ છલકાતાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે જેને પગલે નાંદોદ તાલુકાના કાંઠાવિસ્તારનાં ૨૩ ગામો અને તિલકવાડા તાલુકાના કાંઠાવિસ્તારોનાં ૯ ગામોને અલર્ટ કરવામાં આવ્યાં છે.

 

નર્મદાના પાણીથી સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડૅમ ભરાઈ જશે

 

ગુજરાતના પાણી પુરવઠા પ્રધાન નીતિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નર્મદા નદીના પાણીથી સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડૅમ ભરવાનું  શરૂ થઈ ગયું છે. ડૅમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે દરિયામાં વહી જતા પાણીનો સદુપયોગ ગુજરાત સરકાર કરી રહી છે. નર્મદા ડૅમમાં પાણીની આવક વધતાં આ પાણીથી ધોળી ધજા ડૅમને ભરવાનો અને અન્ય જરૂરિયાતવાળા વિસ્તારોમાં પાણી પહોંચતું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોળી ધજા ડૅમમાંથી સુરેન્દ્રનગર અને વઢવાણ ઉપરાંત આ બન્ને નગરોની આસપાસના વિસ્તારોમાં આવતાં ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદાનાં પાણી સાબરમતી, મહી, બનાસ, રૂપેણ સહિતની નદીઓમાં છોડવામાં આવ્યાં છે તેમ જ કનૅલમાં પણ પાણી છોડવામાં આવશે.