મોદીની નવી કૅબિનેટમાં કોને મળશે સ્થાન? અટકળો શરૂ

22 December, 2012 09:21 AM IST  | 

મોદીની નવી કૅબિનેટમાં કોને મળશે સ્થાન? અટકળો શરૂ




રાજ્યાભિષેકની તૈયારી : અમદાવાદના મણિનગરમાં કાલે મોદીએ મતદારોનો આભાર માન્યો હતો (ઉપર) ગઈ કાલે ગાંધીનગરના રાજભવનમાં રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલને રાજીનામું સોંપતા નરેન્દ્ર મોદી. તસવીરો : નીરવ ત્રિવેદી




અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીતની હૅટ-ટ્રિક કરીને ફરી એક વાર શાસનમાં સત્તાનાં સૂત્રો હાંસલ કરતાં હવે પ્રધાનમંડળમાં કોને સ્થાન મળશે અને કોણ કપાશે એની રસપ્રદ ચર્ચાઓ ચોરે ને ચૌટે શરૂ થઈ ગઈ છે.

ગુજરાત વિધાનસભામાં બીજેપી સરકારમાં નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ ૩૦ સભ્યોનું હતું એટલે આ વખતે પણ પ્રધાનમંડળનો વિસ્તાર આ રહેશે કે પ્રધાનમંડળનું કદ નાનું થશે એ અગામી દિવસોમાં નક્કી થઈ જશે. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં જ્ઞાતિ-પ્રદેશ આધારિત, નવા ચહેરા, જૂના જોગી કોણ ફાવશે, કોણ પડતું મુકાશે તેની અટકળો ઊઠી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જૂના જોગી ગણાતા બીજેપીના પૂર્વ પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રણછોડ રબારી અને દિલીપ ઠાકોરે વિજય મેળવ્યો છે એટલે પ્રધાન તરીકે તેમનાં નામો ચર્ચામાં છે. આ ઉપરાંત કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ અજુર્ન મોઢવાડિયાને મ્ાાત આપનાર બાબુ બોખિરિયા, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, યુવા નેતા શંકર ચૌધરી ઉપરાંત આર. એમ. પટેલનાં નામો પણ પ્રધાનમંડળના સંભવિતો તરીકે ચર્ચામાં છે. બીજી તરફ મહિલા ધારાસભ્યોમાં ડૉ. નીમા આચાર્ય ઉપરાંત નવા ચહેરામાં પૂનમ માડમ અને સંગીતા પાટીલનું નામ પણ સંભવિતોમાં આગળ આવ્યું છે.

૨૬ ડિસેમ્બરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મોદીની શપથવિધિ


વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવનાર નરેન્દ્ર મોદીનો મુખ્ય પ્રધાન તરીકેનો ભવ્ય શપથવિધિ સમાહોર અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ૨૬ ડિસેમ્બરે યોજવામાં આવશે. શપથવિધિમાં ટોચના નેતા, સેલિબ્રિટી તથા હજારો લોકો ઊમટશે એવી શક્યતા છે.

મોદી ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલને ગાંધીનગરમાં રાજભવનમાં  મળ્યાં હતાં. તથા વર્તમાન પ્રધાનમંડળનું રાજીનામું સુપરત કર્યું હતું.

રાજ્યપાલે મોદીને વિજય બદલ શુભેચ્છા આપી હતી.


મોદીના શપથવિધિ સમારોહને લઈને સરદાર પટેલ સ્ટેડિયમની સાફ-સફાઈ સાથે રંગરોગાન કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ-અધિકારીઓએ પણ સ્ટેડિયમની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. શપથવિધિ સમારોહ યોજાય એ પહેલાં ૨૫ ડિસેમ્બરે બીજેપીના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગરમાં મળશે અને પક્ષના નેતાની વરણી કરશે.