બાપા વિશે એલફેલ ન બોલો : મોદી

06 December, 2012 05:29 AM IST  | 

બાપા વિશે એલફેલ ન બોલો : મોદી




(રશ્મિન શાહ)

રાજકોટ, તા.૬

ગુજરાત વિધાનસભાના ઇલેક્શન કૅમ્પેન માટે ખાસ ‘બિગ બૉસ’ના ઘરમાંથી બહાર આવેલા બીજેપીના સંસદસભ્ય અને ક્રિકેટર નવજોત સિંહ સિધુએ પહેલી વખત તેમના પરમ વડીલ મિત્ર એવા નરેન્દ્ર મોદીનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. બન્યું એવું કે બીજેપીની તરફેણમાં જાહેર સભા કરી રહેલા નવજોત સિંહ સિધુએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જીપીપીના ચૅરમૅન કેશુભાઈ પટેલ વિશે બેફામ બોલવાનું શરૂ કરી દીધું હતું. કેશુભાઈ પટેલ દેશદ્રોહી છે અને કેશુભાઈને મત આપવો એ ગૌમાંસ ખાધાના પાપ બરાબર છે જેવા નિમ્ન કક્ષાના સ્ટેટમેન્ટ કરનારા નવજોત સિંહ સિધુ તો શું બીજેપીના એક પણ નેતા કે પ્રચારકને કેશુભાઈ પટેલ વિશે કંઈ જ નહીં બોલવાની સ્ટિÿક્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં નવજોત સિંહ સિધુએ આવી કોઈ સૂચના પાળી નહીં અને બફાટ ચાલુ રાખ્યો. આ બફાટનો વિરોધ થયો એટલે તાત્કાલિક રીતે નવજોતને સૂચના આપી દેવામાં આવી પણ એમ છતાં પાજીનો બફાટ કન્ટિન્યુ રહ્યો. છેવટે નાછૂટકે નવજોત સિંહ સિધુની જાહેર સભાઓ કટ કરી નાખવામાં આવી અને આવતા વીક-એન્ડની સાત જાહેર સભાઓ મોદીએ પોસ્ટપોન્ા કરી નાખી. ગુજરાત બીજેપીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘કેશુભાઈનો ઉલ્લેખ માત્ર નહીં કરીને તેમની અવગણના કરવાની મોદીની ઇચ્છા હતી. નરેન્દ્ર મોદી આખું ઇલેક્શન આમ જ પસાર કરવા માગતા હતા અને વીસમીના રિઝલ્ટ પછી એ કેશુભાઈને જવાબ આપવાના હતા, પણ નવજોત સિંહ સિધુએ તેમનો પ્લાન બગાડી નાખ્યો એટલે તે નવજોત પર પણ ગુસ્સે થયા હતા અને રવિવાર રાત્રે ગાંધીનગરના તેમના બંગલા પર બોલાવીને તેને રીતસરનો ખખડાવી નાખ્યો હતો. નવજોત સિંહને નરેન્દ્રભાઈએ એવું કહ્યું હતું કે બીજાનાં કપડાં કાઢવા જતાં તું આપણી પાર્ટીનાં કપડાં કાઢવા માંડ્યો છો, ભાષા પર કાબૂ રાખો. ન રહેતો હોય બિગ બૉસના શોમાં બેઠા રહો.’

નવજોત સિંહ સિધુએ કરેલા કેશુભાઈ પટેલના વિરુદ્ધના સ્ટેટમેન્ટને કારણે જીપીપીના કાર્યકરોએ અમદાવાદ, વિસાવદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને સુરતમાં નવજોત સિંહનાં પૂતળાં બાળવામાં આવ્યાં હતાં તો જીપીપીના બે અગ્રણી કાર્યકર્તાઓએ કેશુભાઈ પટેલને દેશદ્રોહી કહેવા બદલ રાજકોટ અને જામનગરમાંથી નવજોત સિંહ પર કેસ પણ કર્યો છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી