27 December, 2011 03:58 AM IST |
કૉલેજ જવાનું વચન લેવડાવ્યું
કન્યાકેળવણી એ મોદીનો મનગમતો વિષય છે એ હવે જગજાહેર છે. નરેન્દ્ર મોદી જ્યાં પણ નાની બાળાઓને મળે છે ત્યાં તરત જ તેમની સાથે અભ્યાસ સંદર્ભની વાતો કરવા માંડે છે. ગઈ કાલે સદ્ભાવના મિશનના મંચમાં તેઓ દાખલ થાય એ પહેલાં તેમનું સન્માન અને આરતી ઉતારવા માટે ૫૧ બાળાઓને મંડપ પાસે ઊભી રાખવામાં આવી હતી. આ બાળાઓએ જેવી આરતી ઉતારવાની શરૂઆત કરી કે તરત જ મોદીએ તેમને અટકાવી હતી અને કહ્યું હતું કે ‘જો તમે મન દઈને ભણવાનાં હો અને કૉલેજ કરવાનાં હો તો જ મારી આરતી ઉતારવા દઈશ. બોલો, વચન આપો છો?’
દરેક બાળાઓએ હા પાડી એટલે મુખ્ય પ્રધાને પોતાનું સ્વાગત કરવા દીધું હતું અને પછી તે બાળાઓને આર્શીવાદ આપ્યા હતા.
૨૮,૦૦૦ વર્સસ ૮૦૦૦
રાજકોટના સદ્ભાવના ઉપવાસમાં ગઈ કાલે ૨૮,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજકોટના સોરઠિયાવાડી ચોકમાં રાજકોટના કૉન્ગ્રેસના સંસદસભ્ય કુંવરજી બાવળિયા અને અન્ય કૉન્ગ્રેસીઓ દ્વારા કરવામાં આવેલા સત્કર્મ ઉપવાસમાં ફક્ત ૮૦૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે જેમને રાજકોટના કૉર્પોરેટરે માર માર્યો હતો તે કૉન્ગ્રેસના શહેરપ્રમુખ જશવંતસિંહ ભટ્ટીએ ગઈ કાલે સત્કર્મ ઉપવાસમાં કહ્યું હતું કે ‘બીજેપીમાં હવે ગુંડા ભરી દેવામાં આવ્યા છે. આ ગુંડાઓને હું જ્યાં સુધી હટાવીશ નહીં ત્યાં સુધી હું મારા નામની આગળ ‘સ્વર્ગીય’ શબ્દ લખીશ. મારા લેટરપેડ અને મારી ઑફિસની બહારની નેમપ્લેટમાં પણ હું આગળ ‘સ્વર્ગીય’ શબ્દ ઉમેરી દઈશ.’
મોદી જોઈ લો મોબાઇલ પર
મુખ્ય પ્રધાન ક્યારેય જાહેરમાં મોબાઇલનો ઉપયોગ નથી કરતા. મોદી મોબાઇલ પર વાત કરતા હોય એવો ફોટોગ્રાફ પણ જ્વલ્લે જ કોઈક ફોટોગ્રાફર પાસે હશે. ગઈ કાલે ગાંધીનગરથી રાજકોટ આવ્યા પછી ઍરર્પોટ પાસે જ એક અગત્યનો ફોન આવતાં મુખ્ય પ્રધાનના પર્સનલ સેક્રેટરીએ તેમને જઈને એ ફોનની જાણ કરી, ફોન અગત્યનો હતો એટલે નરેન્દ્ર મોદીએ જાહેરમાં જ મોબાઇલ હાથમાં લેવો પડ્યો. તેમણે જેવો મોબાઇલ હાથમાં લીધો કે તરત જ બીજેપીના કાર્યકરો એવી રીતે તેમની ફરતે ગોઠવાઈ ગયા હતા કે કોઈ આ ફોટોગ્રાફ પાડી ન શકે. જોકે આ બધું બને એ પહેલાં જ ‘મિડ-ડે’એ મોદીને મોબાઇલ પર વાત કરતા ઝીલી લીધા હતા.