25 September, 2012 03:12 AM IST |
૧૧ સપ્ટેમ્બરે બહુચરાજીથી ચૂંટણીપ્રચારની વિવેકાનંદ યુવા વિકાસયાત્રા શરૂ કરીને અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીએ અંદાજે ૫૦ જેટલી નાની-મોટી જાહેર સભાઓ સંબોધી છે. જાહેર સભાઓમાં બોલવાને કારણે તેમના ગળાને અસર થઈ છે અને એ વાતનો જાહેરમાં સ્વીકાર કરતાં ગઈ કાલે તેમણે સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદને સંબોધતાં કહ્યું હતું કે મારું ગળું જે રીતે સાથ આપવું જોઈએ એ રીતે નથી આપતું તેથી મારા બોલવામાં ક્ષતિ થાય તો મિત્રો દરગુજર કરશો. આમ કહીને તેમણે દસ-પંદર મિનિટ સુધી સંબોધન કર્યા પછી કહ્યું કે ‘મારો અવાજ કામ નહોતો કામ કરતો, પણ તમારા ઉત્સાહને કારણે કામ કરતો થઈ ગયો. ગોંડલ, ધોરાજી, જેતપુરના કાર્યક્રમમાં માંડ પાંચ મિનિટ બોલી શક્યો, પણ સુરતનો પ્રેમ કંઈક જુદો છે. મારા સમયની પ્રત્યેક ક્ષણ, મારા શરીરનો પ્રત્યેક કણ આપનાં ચરણોમાં છે, આપના માટે છે.’