21 December, 2023 10:32 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
તથ્ય પટેલ
અમદાવાદઃ અમદાવાદના ચકચારી એવા ઇસ્કૉન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. ઇસ્કૉન અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી છે. તેણે ગુજરાત હાઈ કોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી છે. તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઈ કોર્ટ ચુકાદો આપવાની હતી. પરંતુ હાઈ કોર્ટની સુનાવણી પહેલાં તેણે જામીન અરજી પરત ખેંચી છે. તથ્ય પટેલને હજી જેલમાં રહેવું પડશે. અગાઉ તથ્ય પટેલની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવા હાઈ કોર્ટમાં બચાવપક્ષની રજૂઆત કરાઈ હતી પરંતુ વારંવાર અકસ્માત સર્જ્યો હોવાથી જામીન નહીં આપવા માટે સરકારી વકીલે દલીલ કરી હતી. હાઈ કોર્ટમાં તથ્ય પટેલના જામીન વિશે સુનાવણી મુલતવી રાખી હતી. હવે સુનાવણી પહેલાં જ તથ્ય પટેલની જામીન અરજીને પરત ખેંચવામાં આવી છે. અહીં નોંધનીય છે કે ઇસ્કૉન બ્રિજ અકસ્માતમાં નવ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૩ જણને ઈજા પહોંચી હતી.