09 August, 2020 04:41 PM IST | Rajkot | Agencies
જલારામ બાપા
માનવ સેવા માટે જેમણે જીવન સમર્પિત કરી દીધું એવા સંત શિરોમણી જલારામ બાપાના ભાવિકોને હવે દુબઈમાં પણ જલારામ બાપાના દર્શનનો લાભ મળશે. દુબઈમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને આ મંદિર કોઈ પણ પ્રકારના ફન્ડ-ફાળા વિના બનાવાશે. આ અંગે દુબઈ સરકારે પણ મંદિર બનાવવા અંગેની મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર રઘુવંશી સમાજ તેમ જ દેશ-વિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તો માટે દુબઈમાં જલારામ બાપાનું મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ માટેની જરૂરી પરવાનગી દુબઈ સરકાર તરફથી મળી પણ ગઈ છે. આ મંદિર બનતા દુબઈમાં વસતા આપણા ભારતીયો તથા અહીંથી દુબઈ જતા જલારામ બાપાના ભક્તોને ટૂંક સમયમાં જ જલારામ બાપાનાં દર્શન કરવાનો લાભ મળશે. આ મંદિર નિર્માણના ભગીરથ કાર્યમાં ભરતભાઈ રૂપારેલ કે જેઓ મૂળ પોરબંદરના વતની છે અને દુબઈમાં તેમ જ કેનેડાના વાનકુવરમાં ગોલ્ડના શો-રૂમ ધરાવે છે તેઓ આ કાર્ય માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષથી તેઓ દુબઈમાં તેમના ઘરે જલારામ જયંતી ઊજવે છે.