16 June, 2019 01:10 PM IST | ગાંધીનગર
રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ ચિંતામાં
ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી પડેલી 6 બેઠકો પર 5 જુલાઈએ ચૂંટણી કરાવવાની જાહેરાત કરી દીધી છે. શનિવારે તેના માટે અધિસૂચના જાહેર થઈ ગઈ, પણ તેમાં પેચ ફસાઈ ગયો છે. ચૂંટણી પંચે ભલે ચૂંટણીની તારીખ એક જ રાખી હોય, પરંતુ દરેક બેઠક માટે ચૂંટણીની અધિસૂચના અલગથી જાહેર કરવામાં આવી છે. જેની સીધી અસર ગુજરાતની બે બેઠકો પર પડશે. બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી થશે. આ નોટિફિકેશન પર કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો છે અને તે સોમવારે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે.
શા માટે અલગ અલગ અધિસૂચના?
અમિત શાહને લોકસભા ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર 23 મેના દિવસે આવી ગયું હતું જ્યારે સ્મૃતિને 24 મેના રોજ મળ્યું. જેનાથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર આવી ગયું. આ આધાર પર આયોગે બંનેની બેઠકોને અલગ અલગ માની છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે રાખી છે. આવું થવાથી બંને બેઠકો પર ભાજપને જીત મળી જશે. કારણ કે સૌથી વધુ પ્રથમ ક્રમાંકના મળેલા મતો નવી રીતે નક્કી થશે. જો એકસાથે ચૂંટણી થઈ હોત તો કોંગ્રેસને એક બેઠક મળી જાત.
કોંગ્રેસને કેમ નુકસાન?
ગુજરાતની બંને બેઠકો પર જો એક સાથે એક જ બેલેટ પેપર પર ચૂંટણી થાય તો કોંગ્રેસને તેમા જીત મળી શકે છે. પરંતુ જો ધારાસભ્યોની સંખ્યાને જોતા અલગ-અલગ બેલેટથી ચૂંટણી થાય તો જીત ભાજપની થશે. સંખ્યાબળના હિસાબે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 મતો જોઈએ. એક બેલેટ પર એક જ મત નાખી શકાશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ને એક બેઠક આસાનાથી મળી જાત કારણ કે તેની પાસે 71 ધારાસભ્યો છે. પરંતુ નોટિફિકેશન પ્રમાણે બંને માટે અલગ-અલગ વોટ કરવાના છે. એવામાં તેમને બે વાર મત આપવાનો મોકો મળશે.
આ પણ વાંચોઃ જુલાઈ 5ના દિવસે ગુજરાતમાં યોજાશે રાજ્યસભાની ચૂંટણી
ભાજપ એસ. જયશંકરને મોકલશે રાજ્યસભા
ચૂંટણી આયોગના પરિપત્ર બાદ વિવાદ થઈ ગયો છે. કોંગ્રેસે સુપ્રીમમાં જવાની ધમકી આપી છે. કોંગ્રેસ ગુજરાતથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજ્યસભા મોકલવા ઈચ્છતા હતા. જ્યારે ભાજપની બે બેઠકો પરથી એક પર એસ. જયશંકરને મોકલવા ઈચ્છે છે.