કૉન્ગ્રેસની મૂંઝવણ : શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપવી કે નહીં?

28 November, 2012 03:30 AM IST  | 

કૉન્ગ્રેસની મૂંઝવણ : શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપવી કે નહીં?



ગુજરાત વિધાનસભાના ઇલેક્શનનું કૅમ્પેન અને સ્ટ્રૅટેજી તૈયાર કરનારા કૉન્ગ્રેસ ઇલેક્શન કમિટીના ચૅરમૅન અને ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાને ઇલેક્શનમાં ટિકિટ આપવી કે નહીં એ પ્રશ્ન અત્યારે કૉન્ગ્રેસની કોર કમિટીને સતાવી રહ્યો છે. કોર કમિટીને ખાતરી છે કે શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવશે તો બીજેપી પોતાનું બધું જોર વાપરીને વાઘેલાની બેઠક પર આક્રમણ કરશે અને તેમને વિધાનસભામાં આવતા અટકાવવા કોઈ પણ હદે જઈને હરાવવા પ્રયત્ન કરશે. આવું ન બને એ માટે કૉન્ગ્રેસની કોર કમિટી ઇચ્છે છે કે શંકરસિંહ વાઘેલા વિધાનસભામાં લડવાને બદલે અત્યારે સ્ટ્રૅટજી પર ધ્યાન આપે અને કૉન્ગ્રેસની સરકાર રચાય તો એ સમયે પેટા-ચૂંટણી લડીને વિધાનસભ્ય બને. જોકે કોર કમિટીના આ ગણિતમાં શંકરસિંહ વાઘેલા જૂથને કોઈ ચાલ હોવાની શંકા છે અને એટલે જ વાઘેલા જૂથ ઇચ્છે છે કે બાપુને ટિકિટ આપવામાં આવે અને બાપુ ઇલેક્શન લડે. શંકરસિંહ વાઘેલાએ આ બાબતમાં દિલ્હીથી ફોન પર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છું અને કોર કમિટી ઇચ્છશે એ કરવા માટે રેડી છું.’

શંકરસિંહ વાઘેલાને જો ટિકિટ આપવામાં આવે તો તેમને ગાંધીનગર બેઠકની ઑફર કરવામાં આવે એવા ચાન્સિસ છે. આ ઉપરાંત બાપુ માટે દહેગામ અને પાદરા બેઠકની પણ વિચારણા ચાલી રહી છે. બાપુનો ઉત્તર ગુજરાત પરનો હોલ્ટ જોઈને કૉન્ગ્રેસે સેકન્ડ ફેઝના ઇલેક્શનના કૅન્ડિડેટની પસંદગીની મીટિંગ દરમ્યાન પણ તેમને સતત સાથે રાખ્યા છે, જેથી પહેલા તબક્કાના ઉમેદવારની પસંદગી પછી કૉન્ગ્રેસના કાર્યકરોમાં જે વિવાદ થયો એવો વિવાદ ન થાય.

૮૭ ઉમેદવારોએ લીધો ૮૮૯૫ કાર્યકરોનો ભોગ

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના પ્રથમ તબક્કાના ૮૭ ઉમેદવારો જાહેર કર્યા પછી ગુજરાત કૉન્ગ્રેસમાં જબરદસ્ત વિવાદ શરૂ થયો હતો અને ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોની ડિમાન્ડ હતી કે અમુક શહેરોમાં ઉમેદવાર બદલવામાં આવે પણ કૉન્ગ્રેસે માગણી માન્ય ન રાખતાં કાર્યકર્તાઓ નારાજ થયા અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતની અલગ-અલગ બેઠક પરથી ૮૮૯૫ કાર્યરોએ રાજીનામાં આપી દીધાં. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘રાજીનામું આપનારા કાર્યકોની માગ ખોટી હોવાથી તેમની માગણી માન્ય રાખવામાં આવી નથી.’