કૉન્ગ્રેસની ચૂંટણીની જાહેરખબરમાં શ્રીલંકન પૂરપીડિતનો ફોટો છપાયો

27 November, 2012 03:17 AM IST  | 

કૉન્ગ્રેસની ચૂંટણીની જાહેરખબરમાં શ્રીલંકન પૂરપીડિતનો ફોટો છપાયો



ગુજરાતમાં કુપોષણ માટે અત્યારની બીજેપી સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ કરતી કૉન્ગ્રેસની એક જાહેરખબરમાં શ્રીલંકાના પૂર પીડિતની તસવીર છાપવામાં આવતાં પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. ગુજરાતમાં ભૂખમરો હોવાનું દર્શાવતી આ ઍડમાં આ તસવીર છાપવામાં આવી હતી. બીજેપીએ એવો આક્ષેપ કર્યો છે કે આ તસવીર શ્રીલંકન પૂર પીડિતો માટે કામ કરતી ખ્રિસ્તી સંસ્થાની વેબસાઇટ પરથી તફડાવવામાં આવ્યો છે. ‘ગુજરાતમાં પરિવર્તન માટે હાથ મિલાવો’ એવી લાઇન સાથેની આ જાહેરખબર કેટલાંક સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી.

જાહેરખબરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતનાં ૪૫ ટકા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે. જાહેરખબરમાં કુપોષણથી પીડાતી મહિલા અને બાળકને દર્શાવવામાં આવ્યાં છે. આ આક્ષેપોને કારણે વિચિત્ર સ્થિતિમાં મુકાયેલી કૉન્ગ્રેસે બીજેપીના આક્ષેપોનો જવાબ આપ્યો હતો. કૉન્ગ્રેસના સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે ‘આ તસવીર માત્ર પ્રતીકાત્મક હતી. બીજેપીએ તસવીરને બદલે જાહેરખબરમાં આપવામાં આવેલા આંકડાઓ વિશે જવાબ આપવાની જરૂર છે.’

આ તરફ બીજેપીએ કૉન્ગ્રેસ સામે અપ્રામાણિક ચૂંટણી અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો હતો. નવી દિલ્હીમાં બીજેપીના નેતા બલબીર પુંજે કહ્યું હતું કે ગુજરાતમાં કૉન્ગ્રેસનું અભિયાન હકીકતો પર આધારિત નથી પણ જુઠ્ઠાણાંઓ પર આધારિત છે તો અમદાવાદમાં બીજેપીના નેતા જગદીશ ભાવસારે કૉન્ગ્રેસ પાસે માફી માગી હતી. કૉન્ગ્રેસની જાહેરખબરમાં છબરડાની આ પહેલી ઘટના નથી. અગાઉ ગુજરાતના મુખ્ય પ્રધાનોની પ્રશંસા કરતી કૉન્ગ્રેસની જાહેરખબરમાં નરેન્દ્ર મોદીની તસવીર પણ છાપવામાં આવી હતી એટલું જ નહીં મોદીની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા.