23 June, 2026 07:23 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
મુંદ્રા ઍરપોર્ટ બિલ્ડિંગ.
કચ્છના મુંદ્રામાં આજથી ફ્લાઇટનું કમર્શિયલ ઑપરેશન શરૂ થઈ રહ્યું છે જેના પગલે હવે મુંબઈથી મુંદ્રા અને મુંદ્રાથી મુંબઈ જવા માટે મુસાફરોને સીધી ફલાઇટ મળી રહેશે. અદાણી ગ્રુપનું મુંદ્રા ઍરપોર્ટ ભુજ અને કંડલા પછી કચ્છનું ત્રીજું મહત્ત્વનું ઍરપોર્ટ બની રહેશે. મુંદ્રા ઍરપોર્ટ દેશનાં વિવિધ શહેરો સાથે જોડાતાં કચ્છના ઔદ્યોગિક અને વ્યાપારિક વિકાસમાં મહત્ત્વનું બની રહેશે. આજથી નવનિર્મિત આધુનિક ટર્મિનલથી દેશનાં વિવિધ શહેરો માટે રોજ આઠ વિમાની-સેવાઓ મળશે. સ્ટાર ઍર દ્વારા મુંબઈથી મુંદ્રા વચ્ચે મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સીધી ફ્લાઇટ મળશે; જ્યારે ગુરુવારે વાયા કોલ્હાપુરથી ફ્લાઇટ મળશે. મુંબઈથી સીધી ફ્લાઇટ બપોરે ૧૨.૧૦ અને ૧૨.૨૦ વાગ્યે ઊપડશે અને મુંદ્રા ૧.૨૫ અને ૧.૪૦ વાગ્યે પહોંચશે. આ જ રીતે મુંદ્રાથી બપોરે ૨.૧૦ વાગ્યે અને સાંજે ૬.૩૦ વાગ્યે ફ્લાઇટ ઊપડશે જે મુંબઈ ૩.૧૫ અને સાંજે ૭.૪૫ વાગ્યે પહોંચશે. આ સીધી ફ્લાઇટ અલગ-અલગ દિવસોએ ઑપરેટ થશે. મુંબઈ ઉપરાંત ગોવા, ગાઝિયાબાદ, કોલ્હાપુર, બૅન્ગલોર, બેલગાવી, નાંદેડ તેમ જ સુરત સહિત દેશનાં અન્ય શહેરોમાં વિમાની-સેવા ઉપલબ્ધ થશે.