13 June, 2026 11:08 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
કચ્છમાં વન અને પોલીસ વિભાગે દબાણો દૂર કર્યાં હતાં
કચ્છમાં નખત્રાણા તેમ જ દયાપર રેન્જમાંથી વનવિભાગે જંગલ વિસ્તારમાંથી ૩૦૦ હેક્ટરનું ગેરકાયદે અતિક્રમણ દૂર કર્યું હતું. વનવિભાગની જમીન પર થયેલાં ખેતીવિષયક અતિક્રમણ દૂર કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
કચ્છ પશ્ચિમ વનવિભાગના કાર્યક્ષેત્ર હેઠળની નખત્રાણા (પૂર્વ) રેન્જના નિરોણા ગામે અનામત જંગલની જમીન પર થયેલું ખેતીવિષયક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કચ્છના ૬૫ જેટલા વન-અધિકારીઓ સહિતના કર્મચારીઓ તેમ જ પોલીસ વિભાગના ૬૫ કર્મચારીઓના બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૨૦ બુલડોઝર અને ૧૫ ટ્રૅક્ટરોની મદદથી ૩૦૦ હેક્ટર વિસ્તારમાંથી અતિક્રમણો દૂર કરવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અતિક્રમણો હટાવી દીધા બાદ આ જમીન પર વનવિભાગ દ્વારા વાવેતરની કામગીરી હાથ ધરવામાં આવશે.
નખત્રાણા (પૂર્વ) રેન્જના મંગવાણા રાઉન્ડના સાંયરા ગામેથી પણ ૨૦ હેક્ટર જમીનમાં થયેલાં અતિક્રમણો દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દયાપર (ઉત્તર) રેન્જના શિણાપર જંગલ વિસ્તારમાંથી ૧૦૦ હેક્ટર વિસ્તારમાંથી ગેરકાયદે અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે.