માણસા તાલુકાના ચડાસણ ગામે ઘોડે ચડેલા વરરાજાને મારીને નીચે ઉતાર્યો

14 February, 2024 09:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં આજે પણ સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ ભેદભાવની ઘટનાનો શરમજનક કિસ્સો

માણસા તાલુકા, ઉત્તર ગુજરાત

ગુજરાતમાં આજે પણ સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ ભેદભાવની ઘટનાનો શરમજનક કિસ્સો : અનુસૂચિત જાતિના એક યુવાનનો વરઘોડો નીકળ્યો ત્યારે ગામની ચાર વ્યક્તિએ ડીજે બંધ કરાવીને વરઘોડો નહીં કાઢવા દાદાગીરી કરી, ઘોડા પર બેઠેલા વરરાજા પર હુમલો કર્યો તેમ જ કારમાં પણ વરરાજાને બેસવા નહીં દેવા દાદાગીરી કરી હોવાની ફરિયાદ માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ 

અમદાવાદ : ઉત્તર ગુજરાતમાં માણસા તાલુકામાં આવેલા ચડાસણ ગામમાં વરઘોડો નિકળ્યો હતો અને ઘોડા પર બેઠેલા વરરાજા પર એક વ્યક્તિએ હુમલો કરીને તેમને નીચે ઉતારી દઈને અન્ય ત્રણ વ્યક્તિઓએ પણ વરઘોડા મુદ્દે બબાલ કરી હોવાની ગંભીર ઘટના સોમવારે બની હતી. જોકે આ મુદ્દે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ઠાકોર સમાજની ચાર વ્યક્તિઓને રાઉન્ડ-અપ કરી હતી.

ગુજરાતમાં આજે પણ સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ ભેદભાવની ઘટના બનતી હોવાનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. માણસા તાલુકાના ચડાસણ ગામે સોમવારે એક જાન આવી હતી અને અનુસૂચિત જાતીના વર્ગના એક યુવાનનો વરઘોડો નિકળ્યો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને ઘોડા પર બેઠેલા વરરાજા પર હુમલો કરીને લાફો મારી દીધો હતો અને ઘોડા પરથી નીચે ઉતારી દીધો હતો. આ વ્યક્તિ સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ હતી, જેઓએ દાદાગીરી કરીને ડીજે બંધ કરાવ્યું હતું. ડીજેવાળા તેમ જ ઘોડાવાળાને ધમકી આપી વરઘોડો નહીં કાઢવા દાદાગીરી કરી હતી તેમ જ સમાજ વિરુદ્ધ અપમાનિત શબ્દો બોલ્યા હતા. ઘોડા પરથી નીચે ઉતારી દીધેલા વરરાજા કારમાં બેસવા ગયા તો કારમાં પણ બેસવા નહીં દેવા દાદાગીરી કરી હોવાની ફરિયાદ માણસા પોલીસ સ્ટેશનમાં વરરાજાના કાકાની દીકરીએ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ઠાકોર સમાજની ચાર વ્યક્તિઓને રાઉન્ડ-અપ કરી હતી.  

gujarat news ahmedabad