અર્જુન મોઢવાડિયાએ મોદીને વાંદરો અને હડકાયો કૂતરો કહ્યા

09 November, 2012 02:55 AM IST  | 

અર્જુન મોઢવાડિયાએ મોદીને વાંદરો અને હડકાયો કૂતરો કહ્યા





ગુજરાતમાં વિધાનસભાના ઇલેક્શન જેમ-જેમ નજીક આવતું જાય છે એમ-એમ સિનિયર નેતાઓ એકમેક પ્રત્યે તુચ્છ અને તોછડી ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા છે. આ અગાઉ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે જીપીપીના પ્રેસિડન્ટ કેશુભાઈ પટેલ હિટલર, તાનાશાહ, રાક્ષસ જેવા શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા છે તો મંગળવારે ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કેશુભાઈની પંગતમાં બેસીને નરેન્દ્ર મોદી માટે અસભ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જૂનાગઢમાં યોજાયેલા કૉન્ગ્રેસના કાર્યકર્તાઓના મહાસંમેલનમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીની સરખામણી હડકાયા કૂતરા સાથે કરતાં કાર્યકરોને કહ્યું હતું કે ‘હડકાયું કૂતરું કરડે પછી ચૌદ ઇન્જેક્શન લેવાં પડે, ગુજરાતમાં આ ઇન્જેક્શનનું કામ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (ઈવીએમ)નું બટન કરશે. ગુજરાતની પ્રજા ઇલેક્શનમાં પંજાને પસંદ કરીને ઈવીએમનું બટન દબાવશે એટલે હડકાયાઓથી કાયમ માટે છુટકારો મળી જશે.’

અર્જુન મોઢવાડિયાએ એક તબક્કે નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે પણ કરી હતી. કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ‘બંદર ઝાડ પર ચડીને ઠેકડા મારી શકે, પણ એ ક્યારેય સિંહ બની નથી શકતો. એવું જ ગુજરાતના મુખ્ય પ્રધાનનું છે. નરેન્દ્ર મોદી છે બંદર અને મનમોહન સિંહ છે સિંહ. જંગલનો રાજા વાંદરવેડા કરતા બંદરને મારવા ઝાડ પર નથી ચડતો, એને ખબર છે કે બંદરે જમીન પર આવવું પડશે. આપણે પણ હવે એ જ કરવાનું છે અને બંદરને નીચે ઉતારવાનો છે.’

મંગળવારે જૂનાગઢના આ મહાસંમેલનમાં શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા. ગઈ કાલે જ્યારે ‘મિડ-ડે’એ અર્જુન મોઢવાડિયાનો કૉન્ટૅક્ટ કર્યો ત્યારે તેમણે પોતાના ઉપરોક્ત સ્ટેટમેન્ટ બાબતમાં ચર્ચા કરવાની ના પાડી હતી, જ્યારે ગુજરાત બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘આ પ્રકારનાં સ્ટેટમેન્ટ દેખાડે છે કે કૉન્ગ્રેસ હવે બેબાકળી બની ગઈ છે અને જીત માટે ગટરમાં ઊતરવાની તૈયારી કરી રહી છે.’

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી