08 December, 2020 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિજય રૂપાણી
આ તરફ ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસ (Congress) આજે જાહેર કરાયેલા ભારત બંધની સફળતા માટે તૈયારીઓ કરી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) સોમવારે નિવેદન આપ્યું છે કે ગુજરાતના ખેડૂતો આ 'રાજકીય આંદોલન'ને જરાય ટેકો નથી આપવાના અને તેમણે કહ્યું કે મોદી સરકારના વિરોધીઓ આ બધું આયોજન કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર પણ પ્રહાર કર્યા. વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતોનું માત્ર નામ છે બાકી મોદી સરકાર વિરૂદ્ધ કુદી પડવા માટે અને પોતાા અસ્તિત્વને દેખાડવા માટે કોંગ્રેસથી માંડીને વિરોધ પક્ષો એક થઇને ભારત બંધમાં જોડાયા છે. ખેડૂતો આંદોલનમાં ખેડૂત નેતાઓએ પણ અગાઉ કહ્યું હતું કે, અમે કોઇપણ રાજકીય પક્ષોને પોતાના આંદોલનમાં જોડીશું નહીં, ત્યારે આ પક્ષોએ આંદોલનમાં ઝંપલાવ્યું છે, એ બતાવે છે કે ખેડૂતોના નામનો ઉપયોગ છે. કોંગ્રેસનું અસ્તિત્વ પુરું થઇ ચૂક્યું છે. કોંગ્રસે સાથે કોઇ નથી, વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસના કારમી હાર થઇ છે. મોદી સરકાર સામે દેખાડો કરવા માટે અને ખેડૂતોને ભડકાવવા માટે આ પ્રકારનું આંદોલન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇ કાલે કહ્યું કે, આવતીકાલે ગુજરાત ચાલુ રહેશે, આવતીકાલે બધું જ ચાલુ રહેશે, બંધના નામે કોઈએ જો બળજબરીથી બંધ કરાવાશે તો તેની સામે કેસ થશે. બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. ખેડૂતો ક્યાંય મેદાનમાં નથી, આંદોલનમાં નથી, અસંતુષ્ટ પણ નથી. દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે.
આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિજય રૂપાણીએ માત્ર દિલ્હીની પ્રેસકોન્ફરન્સની વાત ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કરી છે અને નવું કંઇ કહ્યું નથી તેવી ટિપ્પણી કરી. ભારત બંધના કાલના એલાનને સફળ બનાવવા કોંગ્રેસની દોડધામ ચાલુ છે. દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારની APMC બંધ કરાવવા સૂચના અપાઇ છે. સાથે ખેડૂત સંગઠનો જે કાર્યક્રમ કરે એને સમર્થન આપવું તથા દબાણ કે ઘર્ષણમાં નહીં ઉતરવા સૂચના અપાઈ છે. આ તરફ ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના કાળા કાયદાના કારણે ખેડૂતો રસ્તા પર આવ્યા છે. CM રૂપાણી દિલ્હીના પત્રકાર પરિષદની નકલ કરી છે, તેમણે પોતાના રીતે કોઈ વાત કરી ન હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. ખેડુતોના સમર્થનથી સરકાર ડરી ગઇ છે, ખેડુતો અને વેપારીઓ દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ખેડૂતોએ જ તમને ગાંધીનગર સુધી પહોંચાડ્યા છે. અનેક APMCએ બંધને સમર્થન જાહેર કર્યું છે. પોલીસની ચિમકી આપી ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. "