04 October, 2022 09:17 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વિરેન્દ્રસિંહ રાજપૂત
કોરોનાનાં બે વર્ષ બાદ ગુજરાતમાં ઉત્સાહભેર નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે મધ્ય ગુજરાતમાં આવેલા તારાપુરમાં છઠ્ઠા નોરતે એક દુખદ ઘટના બની હતી, જેમાં ગરબે ઘૂમતાં-ઘૂમતાં એક યુવાન અચાનક જ મેદાનમાં જ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થતાં શોક છવાઈ ગયો હતો.
તારાપુરમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં છઠ્ઠા નોરતે શનિવારે રાતે ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સૌકોઈ આનંદ-ઉલ્લાસ સાથે ગરબે ઘૂમી રહ્યા હતા, જેમાં વિરેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવાન પણ સોસાયટીના સભ્યો સાથે ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને ગરબા રમતાં-રમતાં મેદાનમાં જ લથડિયાં ખાઈને પડી ગયો હતો. સોસાયટીના સભ્યો તેને તરત જ હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા એ દરમ્યાન રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.