01 March, 2017 09:43 AM IST |
અમદાવાદ : તા, 01 માર્ચ 2017
થોડા સમય પહેલા જ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની રિલિઝ થયેલી ફિલ્મ જોલી એલએલબી-2માં વકિલનું પાત્ર ભજવી રહેલા અન્નૂ કપૂર જજથી નારજ થઈને કોર્ટરૂમમાં જ ધરણા પર બેસી જાય છે. બારાબર આવું જ દ્રશ્ય અમદાવાદની એક કોર્ટમાં ભજવાયું હતું.
ફિલ્મી ઘટના ત્યારે બની હતી જ્યારે ઈંચાર્જ જજે રજાના દિવસે કોર્ટમાં આવવાનું હતું, પરંતુ તેઓ કોઈ કારણોસર મોડા પડ્યાં. જજથી નારાજ થઈ વકીલ સાહેબ ધરણા પર બેસી ગયા. માત્ર આટલેથી જ મામલો અટક્યો ન હતો. ધરણા પર બેસવા છતાંયે જજ કોર્ટમાં ન આવતા વકીલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કારી આ બાબતેની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. વકીલે કહ્યું કે મને ડર છે કે ક્યાંક જજ મને માર ન મારે. સમગ્ર ઘટનાક્રમની જાણ થતા જજ કોર્ટમાં દોડી આવ્યા હતાં.
મળતી માહિતી અનુંસાર કાર્યકારી જજ રજા પર હોવાથી અન્ય ઈન્ચાર્જ જજે સીટીની અર્જેંટ કોર્ટમાં આવવાનું હતું. આ કેસ સાથે સંબંધીત પોલીસ, આરોપી, વકીલ સહિતના તમામ લોકો નિર્ધારીત સમય અનુંસાર કોર્ટમાં હાજર હતાં. કેસની સુનાવણી માટે આરોપીને પણ હાજર કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યાના બધા લોકો હાજર થઈ ગયા હતાં. પરંતુ સાંજના 4 વાગવા છતાં જજ અદાલતમાં આવ્યા નહીં.
બપોરથી જજની રાહ જોઈને કંટાળેલા અજય શેખાવત નામના વકીલે અંતે પિત્તો ગુમાવ્યો હતો. તેઓ કોર્ટમાં જ ધરણા પર બેસી ગયાં હતાં. પોતે બેઠા તો બેઠા પણ અન્ય વકીલ કે પોલીસ ને પણ કોર્ટરૂમમાં જતા અટકાવ્યા હતાં. વકિલ સાહેબ આમ ને આમ લગભગ અડધો કલાક ધરણા પર બેસી રહેવા છતાંયે જજ કોર્ટમાં ન આવતા વકીલ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેની તરત અસર પણ દેખાઈ હતી.
જજ સાહેબને ઘટનાક્રમ વિષે જાણ થઈ તો તેઓ તુરંત કોર્ટમાં દોડી આવ્યા હતાં. જજ આવી ગયા બાદ પણ વકીલ કોઈને કોર્ટરૂમમાં જવા દેતા ન હતા. મહામહેનતે વકીલ સાહેબને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને ત્યાર બાદ કોર્ટની કાર્યવાહી આગળ ધપી હતી.