27 July, 2020 09:23 AM IST | Rajkot | Rashmin Shah
અચલગચ્છાધિપતિ ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કોડાય ચાર રસ્તા પર આવેલા જૈન મહાતીર્થ ૭૨ જિનાલયમાં ચાતુર્માસ કરવા પધારેલા જિન શાસન શિરોમણિ તપચક્રવર્તી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ પોતાના આ ભવનું ૮૯ વત્તા ૩ (અધિક મહિનાઓ) વર્ષનું આયુષ્ય પૂરું કરી કાળધર્મ પામ્યા હતા. રવિવારે પરોઢિયે સવા વાગ્યે નવકારમંત્રના સ્મરણ સાથે આયુષ્યને વિરામ આપનારા ગુરુદેવની નિશ્રામાં સાડાત્રણસોથી વધુ સાધુ-સાધ્વીજી મ.સા. દીક્ષિત થયાં હતાં.
૮૦ એકરમાં પથરાયેલા ૭૨ જિનાલયમાં આદેશ્વરદાદાની નિશ્રામાં કાળધર્મ પામેલા ગુરુદેવ શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના દેહવિલયના સમાચાર પ્રસરતાં દેશભરમાંથી તેમના ભાવિકો દર્શનાર્થે માંડવી પહોંચ્યા હતાં. મુંબઈથી ૧૦૦ જેટલા ભાવિકો માંડવી ગયા હતા. ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે મહારાજસાહેબના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે ઈશ્વર પણ જાણે આ વિધિમાં જોડાઈ રહ્યા હોય એમ ગાજવીજ થતી રહી હતી.