ગુજરાતી સાહિત્યને મોટી ખોટ, સાહિત્યકાર ધીરુબેન પટેલનું 97 વર્ષની વયે અવસાન

10 March, 2023 10:41 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન (Dhiruben Patel Death)થયું છે. તેમણે 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.

ધીરુબેન પટેલ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં વધુ એક મોટી ખોટ પડી છે. લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલનું અવસાન (Dhiruben Patel Death)થયું છે. તેમણે 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અમદાવાદમાં ટૂંકી માંદગી બાદ તેમણે દેહ છોડી દીધો હતો.  

વડોદરામાં જન્મેલા ધીરુબેન  પટેલની અનેક રચનાઓ ગુજરાતી સાહિત્યની મુડી છે. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે. ધીરુબેન પટેલની વાર્તાઓ પરથી ફિલ્મો પણ બની છે. 

ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તર પર પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતકામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1981માં તેમને મુન્સી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા અને 2002માં તેમને સાહિત્ય પુરસ્તાર પ્રાપ્ત થયો હતો. 

ધીરુબેન પટેલે શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. વર્ષ 1949થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી 1963-64માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે તેમણે ફરજ બજાવી હતી. તેમજ પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન પણ કર્યુ હતું. 

તેમની લોકપ્રિય કૃતિઓની વાત કરીએ તો ‘અધૂરો કોલ’,‘વિશ્રંભકથા’અને ‘એક લહર’એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘મયંકની મા’ ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’,  જેવી વાર્તાઓ સફળ છે. એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ છે. 

 

gujarat news ahmedabad vadodara