બીજેપીના ૪૨ ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો કેશુભાઈનો દાવો

29 September, 2012 06:07 AM IST  | 

બીજેપીના ૪૨ ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો કેશુભાઈનો દાવો

જેમાં નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઈ જાય એવી જાહેરાત કેશુભાઈ કરી રહ્યા છે. ગુરુવારે વીરપુરથી શરૂ થયેલી પરિવર્તન યાત્રા ગઈ કાલે જૂનાગઢ પહોંચી ત્યારે કેશુભાઈ પટેલે જાહેર કર્યું હતું કે ગુજરાત બીજેપીના ૪૨ ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને હું તેમનાં નામ જે ઘડીએ જાહેર કરીશ એ ઘડીએ મોદીની બોલતી બંધ થઈ જશે.

કેશુભાઈ પટેલની આ જાહેરાતની સાથે જ ગુજરાત બીજેપીમાં રીતસર સન્નાટો છવાઈ ગયો છે. ગુજરાત બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણી અને ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે આ વિશે કોઈ કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. કેશુભાઈ પટેલનો જ્યારે આ બાબતમાં સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીપીપી ડાયરેક્ટ સરકાર બનાવે કે નહીં એનાથી અમને કોઈ ફરક નથી પડતો, અમે તો બીજેપી સરકાર ન બનાવે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અત્યારે જે કોઈ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તે સૌ પણ અમારી સાથે સહમત છે અને ત્યાં બેઠાં અમારું કામ કરી રહ્યા છે.’

કેશુભાઈ પટેલની પરિવર્તન સંદેશ યાત્રા આજે સાવરકુંડલામાં દાખલ થશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી