વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વધુ એક વાર તોળાતું પૂરનું સંકટ

10 August, 2019 07:14 AM IST  |  વડોદરા

વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વધુ એક વાર તોળાતું પૂરનું સંકટ

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજાના આક્રમક વલણના કારણે મોટા ભાગની નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પણ આજવા ડૅમની સપાટી બપોરે ૩.૩૦ વાગ્યે ૨૧૨.૫૦ ફીટે પહોંચતાં એમાંથી પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવતાં વિશ્વામિત્રીની સપાટી ૧૬.૫૦ ફીટે પહોંચી ગઈ છે. સવારથી વડોદરામાં સતત વરસાદના પગલે સંભવિત સ્થિતિને પગલે શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો કલેક્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. વડોદરામાં બપોર સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ગુરુવારે રાત દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ પડતાં અત્યાર સુધી સાડાત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

નવ દિવસ અગાઉ વિશ્વામિત્રીમાં આવેલાં પૂરનાં પાણી પૂરતાં ઓસર્યાને ગણતરીના દિવસોમાં જ ફરીથી નદીની સપાટીમાં વધારો થતાં વડોદરામાં નીચાણવાળા વિસ્તારમાં રહેનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ માહોલ વચ્ચે અનેક અફવાઓના કારણે અફરા-તફરીનો માહોલ પણ ઊભો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ આનંદોઃ ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડૅમના દરવાજા ખૂલ્યા

વડોદરામાં ગઈ તારીખ ૩૧ જુલાઈના વરસેલા વીસ ઇંચ વરસાદના કારણે કોયલી ફળિયામાં કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેથી કાંસનું ઢાંકણું ખોલવા જતી વખતે કોયલી ફળિયામાં રહેતો અને લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર(૨૯) તણાઈ ગયો હતો. કાંસમાં તણાઈ ગયેલા યુવાનની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. પરિવારે તેમના દીકરાને શોધવા માટે કલેક્ટરમાં અરજી પણ આપી હતી. આજે દસમા દિવસે યુવાનનો મૃતદેહ ભૂતડી ઝાંપા બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.

 

Gujarat Rains vadodara news