05 June, 2019 09:04 AM IST | | રશ્મિન શાહ
ત્રણ દિવસના હઠયોગ પર બેઠા સ્વામી
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના શીતલા ગામમાં ગઈ કાલે બપોરે બારથી સાડાત્રણ વાગ્યા સુધીના કાળઝાળ તડકામાં રાજસ્થાનના ઉદાસીન અખાડાના સ્વામી ચિતાશ્વાનંદે હઠયોગ શરૂ કર્યો છે. ત્રણ દિવસના આ હઠયોગ દરમ્યાન સ્વામીજી દરરોજ બપોરે ૧૨ વાગ્યાના ટકોરે ખુલ્લા મેદાનમાં ઉઘાડા શરીરે બેસવાના છે અને યોગસાધના કરવાના છે.
કાલાવાડમાં અત્યારે ૪૭.૧ ડિગ્રી મહત્તમ તાપમાન છે. ચામડી બાળી નાખે એવા આ તાપમાન વચ્ચે સ્વામી ચિતાશ્વાનંદે બીજી પણ એક આકરી કહેવાય એવી પ્રતિજ્ઞા લીધી છે. એ પ્રતિજ્ઞા મુજબ સ્વામીજી પોતાની આજુબાજુ ૧૦૦૮ છાણાંઓની ૧૦૧ ધૂણીઓ બનાવશે અને એમાં આગ પ્રગટાવીને એની વચ્ચે બેસીને સાધના કરશે.
વિશ્વશાંતિ અને રાષ્ટ્રની એકતા અખંડ રહે એવા ઉદાર ભાવથી સ્વામીજીનો આ હઠયોગ છે. આવી સાધના ન કરવા તેમને સમજાવવા માટે જામનગરના જિલ્લાના ધારાસભ્યો પણ રૂબરૂ મળ્યા હતા, પણ સ્વામીજી માન્યા નહીં અને તેમણે ગઈ કાલથી ત્રણ દિવસની આ સાધના શરૂ કરી છે.