28 February, 2020 11:43 AM IST | Mumbai Desk
હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો વિશે ખુલાસો થયો છે. આ બાબતે કૉન્ગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું કે ૯ જુલાઈ, ૨૦૧૯ના રાજ્યમાં ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ કુપોષિત બાળકો હતાં જે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૩ લાખ ૮૩ હજાર થયાં છે. આમ છેલ્લા ૬ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં બે લાખ ૪૧ હજાર ૬૯૮નો વધારો થયો છે. એમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતાં જેમાં છેલ્લા છ મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે.
રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૨૬૫ છે. ત્યાર બાદ ૨૬,૦૨૧ બાળકો સાથે આણંદ બીજા ક્રમે, ૨૨,૬૧૩ બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા ૨૦,૮૦૬ બાળકો સાથે ચોથા ક્રમે અને ૨૦,૦૩૬ બાળકો સાથે પંચમહાલ પાંચમા નંબર પર છે.