અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે : જિતુ વાઘાણી

01 September, 2019 09:27 AM IST  |  વડોદરા

અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે : જિતુ વાઘાણી

જિતુ વાઘાણી

બીજેપી નેતા અલ્પેશ ઠાકોરે પેટા ચૂંટણીની જાહેરાત પહેલાં જ રાધનપુરમાં પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારથી ગુજરાતની રાજનીતિમાં મોટી ચર્ચાઓ થવા લાગી છે. જોકે હજી સુધી ચૂંટણીપંચ દ્વારા પેટા ચૂંટણીની તારીખને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ. અલ્પેશની દાવા સાથેની વાતો સાંભળી બીજેપીના ઘણા અગ્રણી નેતાઓ અને કાર્યકરો નારાજ થયા હતા.

આ પણ વાંચો : અરવલ્લીમાં વરસાદની તોફાની બૅટિંગ, ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ

બીજેપીના અધ્યક્ષ જિતુ વાઘાણીએ વડોદરામાં અલ્પેશ ઠાકોરને લઈને એક નિવેદન આપ્યું હતું. જિતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડે એવા આડકતરી રીતે સંકેત આપી દીધા છે. આજે જિતુ વાઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર રાધનપુરથી પ્રચાર કરે એમાં અમને કોઈ જ વાંધો નથી. તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં પણ જ્યાંથી રાજીનામું આપ્યું ત્યાંથી ચૂંટણી લડ્યા છે માટે અલ્પેશ રાધનપુરથી પ્રચાર કરે તો કંઈ વાંધો નહીં, પરંતુ છેલ્લે જિતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે અત્યારે તો ગમે ત્યાં જઈને પ્રચાર-પ્રસાર કરે, આખરી નિર્ણય તો કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ જ લેવાની છે.

Jitu Vaghani gujarat vadodara Alpesh Thakor