24 January, 2019 10:08 AM IST | | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી
હવે 'ઘડિયાળના કાંટે' ચાલશે બાપુ
પહેલા ભાજપ, પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનવિકલ્પ મોરચો અને હવે શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની રચના કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ મોરચો ખાસ કંઈ કમાલ કરી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હોવા દરમિયાન શંકરસિંહ વાઘેલા અને પક્ષના નેતાઓ વચ્ચે વારંવાર મતભેદ સામે આવતા હતા. બાદમાં બાપુએ હાથનો સાથ છોડી દીધો હતો.
આ પણ વાંચોઃ 2 દિવસમાં બાપુનો યુ ટર્ન, માન્યો વડાપ્રધાનનો આભાર
ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા એનસીપી પણ ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરવા બાપુનો સાથ લઈ રહી છે. જો કે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનું વજન હજીય કેટલું પડે છે તે આગામી ચૂંટણીમાં જાણી શકાશે.