News In Short: ગુજરાતમાં H1N1ના ૮૦ અને H3N2ના ૬ કેસ નોંધાયા

18 March, 2023 10:39 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ વાઇરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં H1N1ના ૮૦ અને H3N2ના ૬ કેસ નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલે વિધાનસભામાં H3N2ની પરિસ્થિતિ વિશે કહ્યું હતું કે ‘આ વાઇરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દરદીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે જેનો ૨,૭૪,૪૦૦ જેટલો જથ્થો વેરહાઉસમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં H1N1ના ૮૦ અને H3N2 સીઝનલ ફ્લુના ૬ કેસ નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દરદીનું મૃત્યુ થયું નથી.’ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા ૧૦૦ની ઉપર થઈ છે. ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના ૧૨૧ કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં ૪૯ કેસ, રાજકોટ અને સુરતમાં ૧૨–૧૨ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ગઈ કાલે સાંજ સુધી કોરોનાના ૫૨૧ ઍક્ટિવ કેસ હતા જેમાંથી ૩ વેન્ટિલેટર પર હતા.

ફ્લુના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના ૭૯૬ નવા કેસ નોંધાયા

સમગ્ર દેશમાં શ્વાસોશ્વાસને લગતી બીમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. ફેબ્રુઆરીના અંતમાં સમગ્ર દેશમાં ૨૦૦થી ઓછા દૈનિક કેસો નોંધાતા હતા, જ્યારે ગઈ કાલે કોરોનાના ૭૯૬ નવા કેસ નોંધાયા હતા. ઍક્ટિવ કેસની સંખ્યા ૧૦૯ દિવસ પછી ૫૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરલા અને કર્ણાટકમાં પૉઝિટિવિટી રેટ ૧.૧થી ૨.૮ ટકા વચ્ચે રહ્યો છે. આટલું અધૂરું હોય એમ હવે ઇન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં H1N1 અને H3N2 કેસ આવી રહ્યા છે. દેશમાં H1N1ના કેસ મુખ્યત્વે તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા અને પંજાબમાં નોંધાઈ રહ્યા છે. 

ફાર્મસિસ્ટ્સના ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ જ દવા વેચાયઃ ડીસીજીઆઇ

ડીસીજીઆઇ (ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા)એ તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તેમ જ ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇ​ન્ડિયાને એવી ખાતરી કરવા લેખિતમાં જણાવ્યું છે કે રીટેલ મેડિકલ સ્ટોર્સમાં ફાર્મસિસ્ટ્સ ફિઝિકલી હાજર રહે અને તેના ડાયરેક્ટ સુપરવિઝન હેઠળ જ દવાઓ વેચવામાં આવે.

રામમંદિરનું ગર્ભગૃહ ૭૦ ટકા તૈયાર

અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીરો બહાર આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે ગઈ કાલે ગર્ભગૃહના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. રામલલ્લાનાં દર્શન માટે ગર્ભગૃહ સુધી પહોંચવા માટે ૩૨ પગથિયાં બનાવવામાં આવશે, જેમાંથી ૨૪ પગથિયાં બની ચૂક્યાં છે. ગર્ભગૃહ ૭૦ ટકા તૈયાર થઈ ગયું છે.

અમેરિકન ડ્રોન તોડી પાડનાર પાઇલટ્સનું રશિયા સન્માન કરશે

અમેરિકન ડ્રોન તોડી પાડવાની ઘટનામાં સામેલ રશિયન ફાઇટર પાઇલટ્સનું અવૉર્ડથી સન્માન કરવામાં આવશે. રશિયન સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. જે સૂચવે છે કે ભવિષ્યમાં આ રીતે જાસૂસી કરવાના અમેરિકાના પ્રયાસનો વધુ આક્રમકતાથી જવાબ આપવામાં આવશે. મંગળવારે કાળા સમુદ્રમાં બે રશિયન ફાઇટર જેટ્સે અમેરિકન ઍરફોર્સના ડ્રોન પર ફ્યુઅલ રેડ્યું હતું અને એ પછી એમાંથી એકે આ ડ્રોનને ટક્કર મારી હતી. 

gujarat gujarat news