03 November, 2011 07:33 PM IST |
જલારામ જયંતીના અવસર પર ગઈ કાલે નીકળેલી તમામ શોભાયાત્રામાં જલારામબાપાના જીવનના પ્રસંગોના ફ્લોટ્સ મૂકવામાં આવ્યા હતા, જ્યારે જામનગરની શોભાયાત્રામાં નાનાં બાળકોથી માંડીને યુવાન અને
પ્રૌઢ વ્યક્તિઓને જલારામબાપાનો ગેટ-અપ આપીને શોભાયાત્રામાં સાથે રાખવામાં આવ્યા હતા. મોટી ઉંમરના અને જલારામબાપામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો બાળજલારામબાપાનાં દર્શન કરીને રીતસર રડી પડતા હતા.
વીરપુરની આ બીજી દિવાળી
ગઈ કાલે વીરપુરના જલારામ મંદિરમાં પાંચ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા હતાં, જ્યારે અઢી લાખથી વધુ લોકોએ મંદિરમાં પ્રસાદ લીધો હતો. જલારામ જયંતીનો દિવસ વીરપુરવાસીઓ માટે બીજી દિવાળી સમો હતો. ગઈ કાલે વીરપુરના દરેક ઘરના આંગણે રંગોળી બનાવવામાં આવી હતી અને રાત્રે ઘરઆંગણે દીવાઓ પ્રગટાવામાં આવ્યા હતા.