18 August, 2012 06:46 AM IST |
મહાદેવના માસ એવા શ્રાવણ માસના અંતિમ દિવસે ગઈ કાલે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં અલભ્ય કહેવાય એવાં બરફનાં શિવલિંગ બનાવવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, મંદિરના પટાંગણથી મંદિરના ગર્ભસ્થાન સુધીના રસ્તા પર પણ બરફ બિછાવીને અઢાર ફૂટ લાંબા એવા એ માર્ગને પણ દુર્ગમ બનાવી દેવામાં આવ્યો હતો. પગ ગાળી નાખે એવા ઠંડા બરફ પરથી પસાર થયા પછી જે ત્રણ શિવલિંગનાં દર્શન થતાં હતાં એ ત્રણમાંથી એક શિવલિંગ દૂધમાંથી અને એક ગુલાબની પાંદડીઓથી બનાવવામાં આવેલા લાલઘૂમ પાણીથી તો એક શિવલિંગ વરિયાળીના લીલા રંગના પાણીમાંથી બનાવવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભદ્વારથી બહાર સુધી પાથરવામાં આવેલા બરફને પણ રંગીન બનાવવામાં આવ્યો હતો, પણ એમાં માત્ર સાદા કલરનો ઉપયોગ થયો હતો જેથી ચીકાશ ન થાય અને કોઈ લપસીને પડી ન જાય.
અમરનાથ જેવું વાતાવરણ ઊભું કરવા માટે રામજી મંદિરમાં અંદાજે અઢી હજાર કિલો બરફનો ઉપયોગ થયો હતો.