સક્સેસફુલ સમાગમ માટે શું કરવું જોઈએ?

27 December, 2023 08:30 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૩ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર પચાસની. પત્ની બે વર્ષથી મેનોપૉઝમાં આવી ગઈ છે. એક વરસથી સંભોગ બંધ છે, કેમ કે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થતી હતી. તેની કામેચ્છા પણ સાવ ઘટી ગઈ. આ જ સમય દરમ્યાન મારે પણ બાયપાસ સર્જરી કરાવવી પડી. રિકવરીમાં છએક મહિના ગયા. હવે બધું જ બરાબર છે છતાં અમે સમાગમ નથી કર્યો. હું હસ્તમૈથુન કરી શકું છું અને ઇન્ટિમસી એન્જૉય કરું છું, પણ સમાગમનો પ્રયત્ન કરું તો યોગ્ય ઉત્તેજના નથી આવતી. સમાગમ કરવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. એક-બે વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. હવે તો કામેચ્છા પણ નથી થતી. અમે બન્ને અળગા-અળગા રહીએ છીએ. કામેચ્છા માટે વાયેગ્રા કામ આવે? 
જોગેશ્વરી

કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. વાયેગ્રા કામેચ્છા પેદા કરવાનું કામ નથી કરતી. તમે હાલમાં જે દવાઓ લો છો એ જાેઈને પછી નક્કી કરી શકાય કે તમે વાયેગ્રા લઈ શકો કે કેમ. એ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરો.કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે. તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો અને એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે. 

ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલથી દુખાવો યોનિપ્રવેશ સરળ બનશે.

sex and relationships columnists life and style