14 November, 2012 05:45 AM IST |
ફક્ત ભારતમાં જ નહીં દુનિયાભરમાં સ્થૂળતા એક મોટો પ્રશ્ન બન્યો હોવાથી આ સમસ્યાને લઈને ઘણાં રિસર્ચ થઈ રહ્યાં છે. ઓબેસિટી પાછળનાં કારણો, તેનાં પરિણામો અને તેનાથી બચવાના ઉપાયો જણાવતાં કેટલાંક રસપ્રદ સંશોધનો વિશે જાણીએ.
જાડા ગણશો તો જાડા થશો
નૉર્વે યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્ધી ટીનેજર્સ જે પોતાને ભૂલથી જાડા ગણતા હોય છે. તેમના પુખ્ત વયે ઓવરવેઇટ હોવાની શક્યતા બમણી હોય છે. ૧૩થી ૧૯ વર્ષના ૧૨૦૦ ટીનેજર્સને લઈને થયેલા આ રિસર્ચ મુજબ જાડા ન હોવા છતાં પોતાની જાતને જાડાં માનનારાં ૫૯ ટકા છોકરીઓ અને ૬૩ ટકા છોકરાઓ પુખ્ય વયે જાડાં થયેલાં જણાયાં હતાં. પોતાના દેખાવથી ખુશ ન હોવાને કારણે અનુભવાતો સ્ટ્રેસ, એક ટાઇમનું જમવાનું છોડી દેવાની જીદ, વધુપડતા ભૂખ્યા રહેવા જેવાં કારણો આ હેલ્ધી ટીનેજર્સના પાછળથી જાડા થવાનાં કારણોમાંના એક છે.
મિત્રો જાડા હોય તો તમે પણ થશો
ન્યુ ઇંગ્લૅન્ડ જનરલ ઑફ મેડિસિનમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર જે લોકોના મિત્રો જાડા હોય તે લોકો પોતે પણ જાડા બને એવી શક્યતા ૫૭ ટકા વધુ હોય છે. જો ભાઈ કે બહેન જાડા હોય તો આ રિસ્ક ૪૦ ટકા અને પતિ અથવા પત્ની જાડા હોય તો ૩૭ ટકા જેટલું વધારે હોય છે. આમ એક વ્યક્તિની સ્થૂળતા તેની સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જોડાયેલા ઘણા બધા લોકોને અસરકર્તા હોય છે. આ રિસર્ચ મુજબ જ્યારે તમારી આજુબાજુ જાડા લોકો હોય છે ત્યારે તેમની જમવાની આદતો અને લાઇફ-સ્ટાઇલનો તમારા પર ઊંડો પ્રભાવ પડે છે. વળી, જાડા લોકોની સાથે રહેતાં માનસિક રીતે તમને લાગે કે જાડા હોવું નૉર્મલ છે. આમ, જાડાપણાનો સહજતાથી સ્વીકાર તમને એ તરફ દોરી જાય છે.
કારમાં લાંબું ટ્રાવેલ કરતા લોકો જાડા
વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચ મુજબ દરરોજ ઘરથી ઑફિસ કારમાં ટ્રાવેલ કરનારા લોકોની ઓવરવેઇટ થવાની શક્યતા વધારે છે. આ રિસર્ચ મુજબ લાંબા સમય સુધી ડ્રાઇવ કરવા માટે કારમાં બેસી રહેતા લોકોની આખો દિવસ ખર્ચાતી શારીરિક ઊર્જામાં ઘટાડો આવે છે. વળી, આ પ્રકારનું લાંબું ટ્રાવેલ કરનારા લોકોને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ રહેતી હોય છે અને આ લાંબા ટ્રાવેલિંગની તેમના કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ પર પણ અસર વર્તાય છે. વધારે સમય ટ્રાવેલિંગમાં વિતાવવાને કારણે તેમને કસરત કરવાનો સમય પણ ઓછો મળે છે. રિસર્ચ મુજબ પબ્લિક ટ્રાન્સર્પોટના ઉપયોગ દરમ્યાન પણ લોકોને ઘણું ચાલવું પડે છે જેથી તેમની એક્સરસાઇઝ થાય છે, પરંતુ કાર ડ્રાઇવિંગમાં એ પણ શક્ય નથી.
યાદશક્તિ જલ્ાદી ગુમાવે!
લંડનની એક યુનિવર્સિટી દ્વારા થયેલા એક રિસર્ચ અનુસાર મોટી ઉંમરે પાતળા લોકો કરતાં જાડા લોકો પોતાની યાદશક્તિ ૨૨.૫ ટકા ગણી ઝડપથી ગુમાવે છે. સર્વેક્ષણમાં ૫૦થી ૬૦ વર્ષના ૬૫૦૦ કર્મચારીઓના બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ લેવલ ચકાસી, તેમને અપાતી દવાઓની નોંધ લઈ દસ વર્ષની અંદર અલગ-અલગ ત્રણ વાર મેન્ટલ ટેસ્ટ લેવામાં આવી, જેમાં સંશોધકોને જાણવા મળ્યું કે પાતળા લોકો કરતાં જાડા લોકોની માનસિક શક્તિ અને યાદશક્તિ વધુ ક્ષીણ થતી જાય છે. જોકે સંશોધકો એની પાછળનાં મેડિકલ કારણો જાણી શક્યા નથી. એ માટે વધુ સંશોધનની આવશ્યક્તા પર તેમણે વધુ ભાર મૂક્યો હતો.
હૉરર ફિલ્મોથી કૅલરી ઘટાડો
યુનિવર્સિટી ઑફ વેસ્ટ-મિનિસ્ટરના એક રિસર્ચ મુજબ હૉરર ફિલ્મ જોતાં-જોતાં ત્રણ ગણી વધુ કૅલરી બાળી શકાય છે. આ રિસર્ચ માટે હૉરર ફિલ્મ જોતી વખતે લોકોના હૃદયના ધબકારા અને શ્વાસમાં ભરવામાં આવતો ઑક્સિજન તથા છોડવામાં આવતો કાર્બન ડાયોક્સાઇડ પણ માપવામાં આવ્યા હતા. રિસર્ચ મુજબ જ્યારે આપણે હોરર મૂવી જોઈએ છીએ ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે અને શરીરમાં એડ્રિનાલીનનો સ્રાવ થાય છે જેનાથી થોડાક સમય માટે ચયાપચયની પ્રક્રિયા ઝડપી બને છે માટે એટલો સમય વધારે પ્રમાણમાં કૅલરી બળે છે. રિસર્ચ મુજબ તો એક ફિલ્મ જોવી હેલ્થ માટે પૂરતી છે, પરંતુ અઠવાડિયામાં ત્રણ ફિલ્મો જોવી હેલ્થ માટે સૌથી બેસ્ટ રહેશે, કારણ કે તેના દ્વારા ૧૫ ટકા જેટલા મેદને બાળી શકાય છે.
નાની થાળીમાં જમો, વજન ઘટાડો!
જનરલ ઑફ ધ અમેરિકન મેડિકલ અસોસિએશનમાં છપાયેલા એક રિસર્ચ મુજબ નાની થાળીમાં જમવાને કારણે વ્યક્તિને લાગે છે કે મેં ઘણું જમી લીધું. થાળી ભરીન જમવાનો આભાસ થવાથી વ્યક્તિની ભૂખ જલદી સંતોષાય છે અને વજન ઘટે છે. આ રિસર્ચમાં પ્લેટ સાઇઝ અને પ્રપોશન સાઇઝ એટલે કે પ્લેટના પ્રમાણમાં પીરસવામાં આવેલા ખોરાકની માત્રા બન્ને ચકાસીને સાબિત કરવામાં આવ્યું કે મોટી પ્લેટમાં પીરસવામાં આવતું ભોજન પ્લેટના પ્રમોશનમાં હોય છે તેથી વધારે હોય છે. આમ સાઇઝમાં મોટી સંખ્યામાં જમવાથી વધારે જમાઈ જાય છે. ફક્ત બે ઇંચનો ફરક કરી ૧૨ ઇંચની બદલે ૧૦ ઇંચની પ્લેટ વાપરતાં ખોરાકમાં ૨૨ ટકા કૅલરીનો ઘટાડો જોવા મળ્યો હતો.
રાત્રે એકલાં સૂતાં બાળકો જાડાં
‘યુરોપિયન કૉન્ગ્રેસ ઑન ઓબેસિટી ઇન લીઓન’માં છપાયેલા એક રિસર્ચ મુજબ જે બાળકો દરરોજ પોતાનાં માતા-પિતા સાથે સૂતાં હોય છે તેના કરતાં જે બાળકો માતા-પિતાથી અલગ પોતના રૂમમાં કે પલંગ પર સુએ છે તેમની જાડાં થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. બેથી છ વર્ષનાં ૪૯૭ બાળકોને લઈને થયેલા રિસર્ચમાં તેનું કારણ જણાવવામાં આવ્યું છે કે માતા-પિતા પાસે સૂતાં બાળકો પોતાની જાતને ઘણાં જ સુરક્ષિત માનતાં હોય છે. આથી તેઓ સારી ઊંઘ લઈ શકે છે જ્યારે એકલતામાં ડર કે અસુરક્ષિતતાના ભાવ સાથે અપૂરતી ઊંઘ કરનારા બાળકો મેદસ્વી બને છે. જોકે સંશોધકોએ સ્વીકાર્યું હતું કે બાળકના મેદસ્વી બનવા પાછળ ઘણાં કારણોમાંનું એક કારણ આ પણ છે.