૬૬ ટકા ગાઉટના હુમલા અડધી રાતે આવે છે

16 December, 2014 06:29 AM IST  | 

૬૬ ટકા ગાઉટના હુમલા અડધી રાતે આવે છે



હેલ્થ-વેલ્થ-સેજલ પટેલ

શું તમે આલ્કોહોલનું સેવન કરો છો? ઝટપટ વેઇટ-લૉસ કરવા મથી રહ્યા છો?હાથ-પગનાં નાનાં સાંધાઓનો આકાર બદલાઈને અંદર કંઈક જમા થઈ રહ્યું હોય એવું લાગે છે? એક્સરસાઇઝ નથી કરતા, પણ મસલ્સ બનાવવા માટે હાઇ-પ્રોટીન ડાયટ લો છો?પગના આંગળાં અને ખાસ કરીને અંગૂઠાની સ્ટિફનેસ વધી રહી છે? સાંધા પાસે લાલાશ, બળતરા જેવું થાય છે? જૉઇન્ટ પેઇનની સાથે-સાથે તાવ આવી જાય છે? તો આ ગાઉટ બાબતે પહેલેથી જાણી લેજો. ગાઉટ પણ એક પ્રકારનો આથ્રાર્ઇટિસ જ છે, જે મોટા ભાગે નાના સાંધાઓથી શરૂ થાય છે. આજકાલ રૂમેટૉઇડ આથ્રાર્ઇટિસ અને ઑસ્ટિઓઆથ્રાર્ઇટિસ બાબતે જાગૃતિ વધી રહી છે, જોકે ખોટી લાઇફ-સ્ટાઇલને કારણે ગાઉટની સમસ્યા પણ યંગ એજમાં દેખાવા લાગી છે. અન્ય આથ્રાર્ઇટિસની જેમ આમાં પણ એક વાર સમસ્યા શરૂ થયા પછી એને સંપૂર્ણપણે મટાડવાનો કોઈ સ્કોપ રહેતો નથી. જોકે સારી વાત એ છે કે એનાં આગોતરાં લક્ષણો દેખાતાં હોય ત્યારે સાચી લાઇફ-સ્ટાઇલવાળું જીવન જીવવા લાગો તો ગાઉટને છેટો રાખી શકાય. તાજેતરમાં અમેરિકાની મૅસેચુસેટ્સ જનરલ હૉસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચરોની ટીમે અભ્યાસ કરીને તારવ્યું છે કે ગાઉટનો અટૅક રાતના સમયે આવવાની શક્યતાઓ ૬૬ ટકા જેટલી હોય છે. રિસર્ચરોએ ગાઉટના ૭૨૪ દરદીઓને આવેલા ૧૪૩૩ અટૅક્સનો અભ્યાસ કયોર્ હતો. એમાંથી ૭૩૩ હુમલા અડધી રાતથી સવારે સાત વાગ્યા સુધીમાં આવ્યા હતા, ૩૧૦ હુમલા દિવસ દરમ્યાન અને બપોર પહેલાં આવ્યા હતા જ્યારે ૩૯૦ હુમલા સાંજે ત્રણથી રાતના બાર વાગ્યા દરમ્યાન આવ્યા હતા. મતલબ કે સાંજથી લઈને વહેલી સવાર સુધીના સમયમાં ગાઉટના અચાનક હુમલાનું પ્રમાણ સૌથી વધુ હતું. રિસર્ચરોનું કહેવું છે કે રાતના સમયે અપૂરતું પાણી પીધું પીવાથી કે બૉડીનું ટેમ્પરેચર નીચું જતું રહેવાથી હુમલા વધી જાય છે.

ગાઉટના હુમલા કેવા હોય?

જેમ હાર્ટના દરદીને અચાનક જ હાર્ટ-અટૅક આવે એવું જ કંઈક ગાઉટમાં થાય. અલબત્ત, આ દુખાવો એક-બે કે અમુક સાંધા પૂરતો સીમિત હોય. જૉઇન્ટમાં તીવþ પીડાનો હુમલો થાય એ પહેલાં વૉર્નિંગ સાઇન્સ પણ એમાં દેખાવા લાગી હોય. જેમ કે અસરગ્રસ્ત સાંધાની અમુક ચોક્કસ સાઇડનો ભાગ વધુ મોટો અને જાણે ગાંઠ બંધાઈ રહી હોય એવો મોટો થતો જાય. એ ભાગમાં સ્પર્શ કરવાથી બાકીના બૉડી કરતાં વધુ ગરમી ત્યાં અનુભવાતી હોય. સાંધામાં લાલાશ અને ક્યારેક અકડાઈ જવાની તકલીફ પણ જોવા મળતી હોય. ગાઉટમાં જે ગાંઠ જેવું દેખાતું હોય છે એ ખરેખર ટuુમર નથી હોતું, પણ નકામાં પ્રવાહી ત્યાં ભરાઈને સુકાઈ ગયાં હોય છે. યુરિક ઍસિડ ક્રિસ્ટલ થઈને સાંધાની આસપાસ ભરાય છે જેને કારણે મૂવમેન્ટમાં તકલીફ પડે છે અને ઍસિડને કારણે બળતરા થાય છે.
મોટા ભાગના કેસમાં અસરગ્રસ્ત સાંધામાં સોજો, લાલાશ અને ગરમાવો ઘણા વખત પહેલાંથી ધીમે-ધીમે વધતો જતો જોવા મળે છે અને પછી અચાનક પીડાનો તીવþ હુમલો થાય છે. જોકે ખરાબ લાઇફ-સ્ટાઇલ ધરાવનારાઓમાં સાવ અચાનક જ રાતોરાત સોજો અને પીડા થવાના કેસ પણ અનેક નોંધાયા છે. પુષ્કળ આલ્કોહોલ અને ખાસ કરીને બિયર પીનારા લોકોમાં અચાનક ગાઉટનો હુમલો થવાનું પ્રમાણ વધુ હોય છે.


પ્રિવેન્શન ઇઝ ધ ક્યૉર


આ રોગ થયા પછી એનો ઉપચાર કરવા કરતાં એનું નિવારણ થાય એ જ વધુ હિતકારી છે. એટલે સાંધાના દુખાવાની શરૂઆત હોય ત્યારથી ડાયટમાં પરેજી રાખવા માંડવી એ જ એના નિવારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગાઉટમાં યુરિક ઍસિડનો ભરાવો સાંધાઓમાં થાય છે એટલે યુરિક ઍસિડ પેદા કરે એવો પદાર્થ ન ખાવો જોઈએ. પ્રોટીન-રિચ ચીજોનું પાચન થાય એ દરમ્યાન કચરા તરીકે યુરિક ઍસિડ બને છે. એવા સમયે કઠોળ, માંસ અને ફિશ જેવી ચીજોના પાચન દરમ્યાન યુરિક ઍસિડ મોટી માત્રામાં પેદા થાય છે. જ્યારે કિડનીની યુરિક ઍસિડ ગાળીને યુરિન વાટે બહાર કાઢવાની પ્રક્રિયામાં ખામી પેદા થાય ત્યારે એ સાંધાઓમાં જઈને અટકે છે. એટલે જ ગાઉટના દરદીઓએ કિડનીનું પણ સતત ચેક-અપ કરાવતા રહેવું જોઈએ.

શું ન કરવું

જેમાંથી વધુ માત્રામાં પ્રોટીન મળતું હોય એવી ચીજો એટલે કે બધા જ પ્રકારનાં કઠોળ ખાવાનું બંધ કરી દેવું. તુવેર, વટાણા, ચણા, કાબુલી ચણા, મઠ, વાલ, રાજમા, મગ, અડદ જેવાં તમામ કઠોળ વજ્ર્ય ગણવાં. એટલે કઠોળમાંથી બનતી વાનગીઓ જેવી કે મિસળ, ઉસળ, રાજમા મસાલા, છોલે જેવી વાનગીઓ ન ખાવી. શાકભાજીમાં પણ વાલોળ, પાપડી, તુવેર, વટાણા, ફણસી, ગુવારસિંગ, મશરૂમ, બેબીકૉર્ન જેવાં જેમાંથી દાણા નીકળે છે એવાં શાક ન ખાવાં. પાલક પણ ન ખાવી.
યીસ્ટ નાખીને બનાવેલાં કેક, બિસ્કિટ, પેસ્ટ્રી, બ્રેડ તેમ જ પાપડ, અથાણાં અને મેંદા અને ચરબીવાળી ચીજો ન ખાવી.

શું કરવું?

ખોરાકમાં ધાન્ય કરતાં લીલાં શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારવું.
પ્રોટીન માટે મગ અને તુવેરની દાળનું પાતળું પાણી જ લઈ શકાય. જાડી તુવેરદાળ ખાવી નહીં.પુષ્કળ પાણી પીવું.વેજિટેબલ સૂપ, જૂસ, નાળિયેરપાણી, છાશ ઉત્તમ ગણાય છે.
જો વજન તમારી હાઇટ કરતાં વધારે હોય તો ઓછું કરવું જરૂરી છે, પરંતુ એક મહિનામાં પંદર કિલો વજન ઘટાડવાના લોભામણા વેઇટ રિડક્શન કોર્સ શરીર માટે હાનિકારક છે.
લાંબો સમય ભૂખ્યા ન રહેવું. ભૂખ્યા રહેવાથી શરીરના મસલ્સના ટિશ્યુ તૂટે છે. એમાંથી શરીર ટકી રહે છે, પણ મસલ્સ તૂટવાને કારણે યુરિક ઍસિડ પેદા થાય છે જેનો નિકાલ શક્ય નથી બનતો.રાતે દસ વાગ્યા પછી ખાવાની આદત હોય તો તરત જ છોડવી. નિયમિત સમયે દિવસમાં ચારથી પાંચ વાર થોડું-થોડું ખાતા રહેવું.