બીપી કે ડાયાબિટીઝ નથી છતાં રાત પડે એટલે વિઝનમાં તકલીફ પડે છે

29 September, 2011 04:11 PM IST  | 

બીપી કે ડાયાબિટીઝ નથી છતાં રાત પડે એટલે વિઝનમાં તકલીફ પડે છે

 

ડૉ. હિમાંશુ મહેતા - ઑફથેલ્મોલૉજિસ્ટ

સવાલ : મારી ઉંમર ૩૮ વર્ષ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ચશ્માં પહેરું છું. બન્ને બાજુ માઇનસ છ નંબર છે. સિલિન્ડર ઍન્ગલ પણ છે. મેં લગભગ પાંચ વરસ લાઇટિંગ અને વેલ્ડિંગનું કામ કર્યું. જોકે એને કારણે આંખને તકલીફ થતી હોવાથી છોડી દીધું છે. પહેલાં હું અંધારામાં ડ્રાઇવિંગ નહોતો કરી શકતો. જાણે મને બરાબર દેખાતું ન હોય એવું લાગતું. હવે તો એમ પણ અંધારામાં જોવામાં તકલીફ પડે છે. દિવસ દરમ્યાન બધું જ દેખાય છે, પણ જેમ-જેમ અંધારું છવાતું જાય એમ સમસ્યા વધે છે. બ્રાઇટ લાઇટ્સ ચાલુ હોય ત્યારે જ દેખાય છે, ડિમ લાઇટ હોય તો જાણે ન બરાબર હોય છે. બ્લડપ્રેશર અને બ્લડશુગર બન્ને મપાવ્યાં. એ નૉર્મલ છે. ચશ્માંના નંબરમાં અડધો નંબર વધ્યો છે. નવાં ચશ્માં પર્હેયા પછી પણ રાતના સમયે આ જ તકલીફ થાય છે. શું નંબર ઉતારવાની સર્જરીથી નંબર ઘટાડી શકાય? એનાથી નાઇટ વિઝન સુધરી જાય ખરું? નાની ઉંમરે તકલીફ થતી હોવાથી ક્યાંય બહાર નીકળવામાં પણ તકલીફ પડે છે.

જવાબ : તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ પરથી ચોક્કસ નિદાન થઈ શકે એમ નથી. છતાં બે શક્યતાઓ છે. એક છે નાઇટ વિઝન એટલે કે રતાંધળાપણું ને બીજી છે રેટિનાઇટિસ પિગ્મેન્ટોઝાની તકલીફ. આ એક જિનેટિક પ્રૉબ્લેમ છે ને એમાં આંખના પડદાને જ નુકસાન થાય છે ને ધીમે-ધીમે દૃષ્ટિ ઘટતી જાય છે.

તમને અત્યારે માત્ર રાતે જ જોવામાં તકલીફ પડે છે એટલે શક્યતા છે કે રતાંધળાપણાને કારણે જ એમ હોય. જો બૉડીમાં વિટામિન એની કમીને કારણે આ હશે તો વિટામિન્સ સપ્લિમેન્ટ્સ લેવાથી ઘણો જ ફાયદો વર્તાશે, પણ જો પડદાને નુકસાન શરૂ થયું હશે તો તમારે વધુ સાવધાન રહેવું પડશે.

લેસિકથી તમે જે નંબર ઉતારવાની વાત કરો છો એમાં માત્ર ચશ્માંના નંબર જ ઊતરશે, નાઇટ વિઝનમાં કોઈ જ ફરક નહીં વર્તાય. તમે એમ જ ચિંતામાં સમય વિતાવો છો એના બદલે આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે સંપૂર્ણ આઇ ચેક-અપ વહેલી તકે કરાવી લો.