નાની ઉંમરમાં શું બાયપાસ કરાવાય?

02 January, 2023 04:32 PM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

મુખ્ય ત્રણેય આર્ટરીમાં આ તકલીફ હોય તો મોટા ભાગે ડૉક્ટર બાયપાસ જ સજેસ્ટ કરે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારો દીકરો ૩૮ વર્ષનો છે હાલમાં તેની ઍન્જિયોગ્રાફી કરાવી તો તેની ત્રણેય આર્ટરીમાં બ્લૉકેજિસ છે એટલે ડૉક્ટર કહે છે કે અમે ઍન્જિયોપ્લાસ્ટી ન કરાવતાં બાયપાસ જ કરાવીએ. બાયપાસ જેવી મોટી સર્જરી આટલી નાની ઉંમરે કરાવાય? એમાં રિસ્ક નથી શું? મને ૭૦ વર્ષે પણ કોઈ તકલીફ નથી અને મારા દીકરાની ત્રણેય આર્ટરી બ્લૉક આવી છે. તેની ઑફિસમાં તેની જ ઉંમરની એક વ્યક્તિને હાર્ટ અટૅક આવ્યો તો તેણે ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. તો એનાથી ન ચાલે?

તમને તકલીફ નથી એ સારી વાત છે, પણ એને કારણે દીકરાને પણ કોઈ તકલીફ નહીં થાય એવું ન હોય.  જિનેટિકલી ભલે તેમને હાર્ટ ડિસીઝ ન આવ્યું હોય, પરંતુ લાઇફસ્ટાઇલ તેમની એવી હશે કે આ રોગ આવ્યો છે. ખૂબ સારું છે કે તેને અટૅક આવ્યો નથી અને એની પહેલાં જ આ વસ્તુ સામે આવી ગઈ. ઇલાજ દ્વારા તમે અટૅકને ટાળી શકો છો. હાર્ટ ડિસીઝમાં અટૅક પહેલાં જ જો તમે ઇલાજ કરાવો તો એ વધુ સારો ઑપ્શન ગણી શકાય. અત્યારે કુલ દરદીઓમાંથી ૨-૩ ટકા દરદીઓ આ ઉંમરના અમે જોઈએ છીએ. જ્યારે હાર્ટ ડિસીઝ નાની ઉંમરે થાય છે ત્યારે એમાં મોટા ભાગે એ એક જ નળીમાં તકલીફ હોય એવું મનાય છે. આટલી નાની ઉંમરે જો હાર્ટ પ્રૉબ્લેમ હોય તો એનો અર્થ એ થયો કે હજી પ્રૉબ્લેમ નાના પાયે હોવો જોઈએ, પરંતુ ના, એવું નથી હોતું. આપના હૃદયમાં ત્રણ કૉરોનરી આર્ટરી છે, જેમાંથી એકમાં જ તકલીફ હોય તો ઍન્જિયોપ્લાસ્ટી કરીને બ્લૉકેજ હટાવી દેવામાં આવે છે, જે ખાસ મોટી તકલીફ ન ગણી શકાય, પરંતુ નાની ઉંમરે પણ ૪૦ ટકા દરદીઓમાં ત્રણેય કૉરોનરી આર્ટરીની તકલીફ જોવા મળે છે, જેને કારણે યુવાન વયે બાયપાસની જરૂર પડે છે. ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ એનો નિર્ધાર જ એ બાબત પર છે કે બ્લૉકેજ કેટલી નળીમાં અને કેટલી માત્રામાં છે. જો મુખ્ય ત્રણેય આર્ટરીમાં આ તકલીફ હોય તો મોટા ભાગે ડૉક્ટર બાયપાસ જ સજેસ્ટ કરે. જે પરિસ્થિતિ વર્ણવી છે એમાં બાયપાસથી સારો ઉપાય કોઈ ન હોઈ શકે, કારણ કે બાયપાસ કરાવશો તો ૨૦-૨૫ વર્ષની શાંતિ થઈ જશે. ઍન્જિયોપ્લાસ્ટીમાં એવું નથી થતું. બ્લૉકેજ નળીમાં બીજી કોઈ જગ્યાએ પાછું થાય તો ફરી ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે છે. એક રીતે બાયપાસ ફાયદાકારક ઑપ્શન છે માટે ગભરાવ નહીં.

columnists health tips