08 May, 2026 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે મહિલાઓમાં જોવા મળતી યોનિમાર્ગની વિવિધ સમસ્યાઓમાંની એક સમસ્યા એટલે કે બૅક્ટેરિયલ વજાઇનોસિસ. યોનિમાર્ગના ભાગમાં સારા બૅક્ટેરિયા ઓછા થઈ જવા અને ખરાબ બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જવું. ૫૦ ટકા જેટલી મહિલાઓમાં આ સમસ્યાનાં કોઈ લક્ષણો દેખાતાં નથી, પરંતુ જો એની સમયસર સારવાર ન થાય તો એ પેલ્વિક અને પ્રેગ્નન્સીને લગતી સમસ્યાઓ વધારી શકે છે.
તાજેતરમાં થયેલા રિસર્ચમાં રિસર્ચરોએ નોંધ્યું છે કે આ થવા પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે એ સેક્સ્યુઅલ ઍક્ટિવિટી દરમ્યાન પુરુષ દ્વારા સ્ત્રીમાં ફેલાઈ શકે છે અને એટલે જ એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનમાં પણ સામેલ કરી શકાય. યોનિમાર્ગના કુદરતી બૅક્ટેરિયામાં અસંતુલન સર્જાતાં દુર્ગંધયુક્ત ડિસ્ચાર્જ મુખ્ય લક્ષણ દેખાતું હોય છે.
બૅક્ટેરિયલ વજાઇનોસિસની સારવાર માટે ઍન્ટિ-બાયોટિક્સ આપવામાં આવે છે. સંશોધકોના મતે પ્રો-બાયોટિક્સનો ઉપયોગ આ સમસ્યા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. પ્રો-બાયોટિક્સ યોનિમાર્ગના સ્વાસ્થ્યને પુનઃ સ્થાપિત કરીને એને ચેપ સામે રક્ષણ આપે છે. એ સિવાય પરફ્યુમવાળી પ્રોડક્ટ્સ જેમ કે વજાઇનલ ડીઓડરન્ટ અથવા સોપનો ઉપયોગ ટાળવો જોઈએ. યોગ્ય જીવનશૈલી સાથે સ્મોકિંગ પણ ટાળવું જોઈએ. નિષ્ણાતો માને છે કે આ અવસ્થાને સામાન્ય ચેપ ન ગણતાં એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન ગણીને બન્ને પાર્ટનરે સાથે સારવાર લેવી અત્યંત આવશ્યક છે, કારણ કે અધૂરી સારવાર સ્ત્રીઓમાં કૅન્સર અને અન્ય પ્રજનન સંબંધિત ગંભીર જોખમો વધારી શકે છે.