ચાર વરસથી ગૅસ અને ઍસિડિટી છે, ભૂખ છતાં ખાવાનું ગળા નીચે નથી ઊતરતું

25 October, 2011 06:22 PM IST  | 

ચાર વરસથી ગૅસ અને ઍસિડિટી છે, ભૂખ છતાં ખાવાનું ગળા નીચે નથી ઊતરતું



ડૉ. રવિ કોઠારી - બી.એ.એમ.એસ., એમ.ડી., બી.આર.સી.પી. (યુકે)

સવાલ : મારી ઉંમર ૪૨ વરસ છે. પહેલેથી જ ખૂબ ગૅસ થાય છે. તડકામાં ફરવાનું થાય તો માથું ચડી જતું. જોકે છેલ્લાં ચાર વરસથી ગૅસ અને ઍસિડિટીને કારણે મગજની નસો ખેંચાય છે, શ્વાસ લેવામાં ભાર લાગે છે. સાંજ પડ્યે માથું ફાટફાટ થાય છે. પેટ તો ફૂલીને ગાગર જેવું થઈ જાય છે. પહેલાં તો માત્ર ગૅસની જ સમસ્યા હતી, પણ હવે તો હું કંઈ પણ ખાઉં તો જાણે અન્નનળીમાંથી પસાર થતી વખતે જ અવરોધ આવે છે. ગળતાં પણ તકલીફ પડે છે. ભૂખ ખૂબ લાગે છે, પણ સાવ ઓછું ખાઈ શકું છું. છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલીય દવાઓ અને ટેસ્ટ કરાવી ચૂક્યો છું પણ કંઈ પકડાયું નથી હવે મગજની બીમારી કહીને ઘરવાળાઓ પણ હસી કાઢે છે.

જવાબ : માથું દુખવું, પેટ ફૂલી જવું, શ્વાસ લેવામાં તકલીફ ને સાંજના સમયે જ આ બધી સમસ્યાઓ વધવી એ બગડેલા વાયુનાં લક્ષણો છે. જોકે અન્નનળીમાં ઘસાવું, શ્વાસમાં તકલીફ એ માટે તમે ક્યારેય એક્સ-રે કઢાવ્યો છે? જો એ રિપોર્ટ ન કઢાવ્યો હોય તો એક વાર કરાવીને ફેફસાંમાં કંઈ તકલીફ નથી એની ખાતરી કરાવી લેવી બહેતર રહેશે. શું તમને ખાવાની તકલીફ સાથે લિક્વિડ લેતી વખતે પણ તકલીફ છે? શું પ્રવાહી લેવાથી પેટમાં ભાર લાગે છે? ખાધાપીધા પછી શ્વાસ લેવામાં ભાર લાગે છે? તમારા દરદની તત્કાલીન રાહત માટે પરેજી અને દવા કરી શકો.

જમતાં પહેલાં એક ચમચી ગાયનું ઘી સહેજ ગરમ કરી એમાં ચપટીક નમક નાખીને પી જવું. આનાથી ગૅસ થતો અટકશે, ઍસિડિટી ઘટશે, ભૂખ લાગશે, ખાધેલો ખોરાક પચશે અને અન્નનળી તેમ જ આંતરડાંની ઇલૅસ્ટિસિટી ઘટી હશે તો નૉર્મલ થશે. સવારે, બપોરે અને રાત્રે જમ્યા પછી બે ચમચી કોટક્કલ કંપનીનો ગંધર્વ હસ્તાદિ કશાય ચાર ચમચી ગરમ પાણી સાથે લેવો. ગાયના ઘીનાં ચાર-ચાર ટીપાં સહેજ ગરમ કરી બન્ને નસકોરાંમાં નાખવાં. ટીપાં નાખ્યા પછી દસ મિનિટ માટે એમ જ રહેવા દેવું.

કાકડી, ટમેટાં, વટાણા, બટાટા, ચણા, પાપડ, બ્રેડ, બિસ્કિટ, દહીં, અથાણાં, તળેલા અને મસાલેદાર પદાથોર્ ન લેવા. ખોરાકમાં મગ-ભાત, ખીચડી-કઢી, થૂલી, જવ-બાજરીની ભાખરી, ગાયનું દૂધ, ગાયનું ઘી આહારમાં લેવું. ચોખા એક વર્ષથી વધુ જૂના વાપરવા.