18 June, 2019 10:24 PM IST | Mumbai
Mumbai : ઓફિસમાં કામ કરતા લોકોને સતત 7થી 8 કલાક ખુરશીમાં અને એસીમાં બેસી રહેવાનું આવે છે. જે અનેક રોગો થવાનું કારણ બને છે. ખુરશીમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી સર્વાઇકલની સમસ્યા પેદા થાય છે અથવા કમરનો દુખાવો ઘર કરી જાય છે. એવામાં તમારે બે આદતો સુધારવાની જરૂર છે. પહેલી આદત એ કે ઓફિસમાં જ્યારે પણ ખુરશી પર બેસીને કામ કરી રહ્યા હો તો પીઠ સીધી કરીને બેસો. બીજી આદત એ રાખો કે આવી સ્થિતિમાં પગ હંમેશાં જમીન પર સીધા અડાડીને રાખો. આ પણ એક આસનની જેમ જ છે. તેનાથી સર્વાઇકલ, કમરનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો નહીં થાય.
આ આસનોથી બહુ ફાયદો થશે
તાડાસનથી હાડકાંની ગોઠવણી અને કરોડરજ્જુ જળવાઈ રહે છે. લંબાઈ વધે છે. આ જ સ્થિતિમાં વૃક્ષાસન કરવામાં આવે તો એકાગ્રતામાં પણ વધારો થાય છે.
દરરોજ 10 મિનિટ આસન કરો
સ્થૂળતા અને કમરનો દુખાવો દૂર કરવા માટે હલાસન, નૌકાસન, ધનુરાસન અને કાગાસન સૌથી શ્રેષ્ઠ છે. દરરોજ 5થી 10 મિનિટ સુધી આ દરેક આસન કરવાથી ધીમે-ધીમે વજનમાં ઘટાડો થાય છે.
આ પણ વાંચો : યોગીઓની અલભ્ય સિદ્ધિઓ ચમત્કાર નથી, પરંતુ વિજ્ઞાન છે
એસીમાં રહેતા લોકો ગરમ પાણી પીવે
એસીમાં બેસવાથી આળસ ચઢે છે. જો ગરમ પાણી પીવામાં આવે તો શરીરનું તાપમાન જળવાઈ રહેશે અને આળસ જતી રહેશે. આ સિવાય સ્પંચની ગાદીમાં બેસવાને બદલે ઓફિસમાં લાકડાંની ખુરશીનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે.