રાહુલ દેશપાંડે: ‘ભક્તિ આંદોલનનો સમાનતા અને માનવતાનો સંદેશ આજના સમયમાં પહેલાં કરતાં વધુ જરૂરી છે’

18 June, 2026 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.

રાહુલ દેશપાંડે ભક્તિ પરંપરા સાથે કરશે પ્રવાસ - તસવીર સૌજન્ય પીઆર

મહારાષ્ટ્રની સદીઓ જૂની ભક્તિ પરંપરાને દેશભરના શ્રોતાઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જાણીતા ગાયક રાહુલ દેશપાંડે ‘અભંગવારી 2026’ લઈને ભારતના 13 શહેરોની સંગીત યાત્રા પર નીકળવા તૈયાર છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની વાણી અને વિચારોને સંગીતના સથવારે લોકો સુધી પહોંચાડતી આ સફર આગામી 20 જૂનથી પિમ્પરી-ચિંચવડથી શરૂ થશે. આ ટૂર માત્ર સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઈન્દોર, હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુ, નાગપુર, મુંબઈ તેમજ ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવા શહેરોના પ્રતિષ્ઠિત ઓડિટોરિયમ્સમાં પોતાની પ્રસ્તુતિ આપશે. જોકે, રાહુલ દેશપાંડે માટે આ પ્રવાસનો અર્થ માત્ર કોઈ એક રાજ્યની સંસ્કૃતિને અન્ય ભાગોમાં લઈ જવાનો નથી. તેઓ પોતાના આ વિઝનને સ્પષ્ટ કરતા કહે છે, “મારા માટે આ માત્ર મહારાષ્ટ્રની સંસ્કૃતિને દેશના બાકીના ભાગોમાં લઈ જવાનો પ્રશ્ન નથી, પરંતુ એક એવી પરંપરાને વહેંચવાનો પ્રયાસ છે જેના મૂલ્યો વૈશ્વિક (universal) છે. ભક્તિ આંદોલને હંમેશા સમાનતા, કરુણા, ભક્તિ અને સમર્પણની વાત કરી છે, અને એ પણ તત્કાલીન સમયના સામાન્ય માણસની ખૂબ જ સરળ ભાષામાં. એટલે જ આ વિચારો કોઈ એક પ્રદેશ કે ભાષા પૂરતા મર્યાદિત નથી, તે આપણા બધાના છે.”

આજના સમયમાં ભક્તિ સંતોની પ્રાસંગિકતા

ભક્તિ સંતોના ઉપદેશો સદીઓ પછી પણ આજના આધુનિક વિશ્વમાં એટલા જ પ્રાસંગિક કેમ છે? આ પ્રશ્નના જવાબમાં રાહુલ માને છે કે આજના સમયમાં તેમની સૌથી મોટી ભેટ ‘માણસને માણસ સાથે જોડવાની’ છે. “મને લાગે છે કે સમાનતા અને માનવતાનો આ સંદેશ આજે પહેલાં કરતાં વધુ જરૂરી બની ગયો છે. સંત તુકારામ, જ્ઞાનેશ્વર અને નામદેવે હંમેશા આપણને મનુષ્ય તરીકે એકબીજા સાથે જોડ્યા છે. આજના વિશ્વમાં એકબીજા પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ રાખવો, દરેક સાથે સમાન વર્તન કરવું અને માત્ર ‘ઇન્સાન’ બનીને રહેવું—આ ભક્તિનો સંદેશ અત્યારે સૌથી વધુ અનિવાર્ય છે.”

સાત સૂર અને ભક્તિ સાહિત્ય: યુવા પેઢી સાથે જોડાણ

સદીઓ જૂની સંત કવિતા તેની અસલિયત (authenticity) ગુમાવ્યા વિના આજની યુવા પેઢીને કેવી રીતે સ્પર્શી શકે, તે અંગે રાહુલ સંગીતનું એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપે છે.

તેઓ કહે છે, “જુઓ, જે મૂળ તત્વ (essence) છે તે ક્યારેય બદલાતું નથી. આપણી પાસે સાત સૂર છે. સમય સાથે તેની રજૂઆત કે પ્રસ્તુતિની શૈલી ભલે બદલાય, પણ મૂળ સૂર તો એ જ રહે છે. ભક્તિ સાહિત્યનું પણ એવું જ છે. જો આપણે સંતોના આ વિચારોને સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્ઠા સાથે રજૂ કરીએ, તો યુવા પેઢી પણ આ પ્રામાણિકતાને ઓળખી શકે છે. સંતોના આ સંદેશમાં એક એવી ભાવનાત્મક તાકાત છે જે પેઢીઓ સુધી લોકોને સ્પર્શતી રહેશે.” વર્ષોથી અભંગો ગાવાના અને આ સાહિત્ય સાથે જોડાયેલા રહેવાના પોતાના અનુભવ વિશે તેઓ ઉમેરે છે કે આ પરંપરાએ તેમને શીખવ્યું છે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ અને સર્વસમાવેશક (inclusive) છે. સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામ જેવા મહાન સંતોની કવિતા અદ્ભુત રીતે સમૃદ્ધ છે. સંગીત તો માત્ર એક માધ્યમ છે જેના દ્વારા તેઓ આ સંદેશને વ્યક્ત કરે છે, જે આધ્યાત્મિક હોવાની સાથે-સાથે ઊંડો સાંસ્કૃતિક અને સામાજિક પ્રભાવ પણ ધરાવે છે.

ગાયક, વાર્તાકાર કે પરંપરાના સંરક્ષક?

જ્યારે રાહુલ દેશપાંડેને પૂછવામાં આવ્યું કે સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે તેઓ પોતાની જાતને કઈ ભૂમિકામાં જુએ છે, એક ગાયક, વાર્તાકાર કે પરંપરાના સંરક્ષક તરીકે? ત્યારે તેમણે ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો: “હું પોતાને આ ત્રણેય રૂપમાં જોઉં છું. સંગીત મારું માધ્યમ છે જેના દ્વારા હું આ ફિલોસોફી અને લાગણીઓને વ્યક્ત કરું છું, તેથી હું એક ગાયક અને વાર્તાકાર તો છું જ. પણ સાથે જ, હું પોતાને આ પરંપરાનો એક સંરક્ષક (custodian) પણ માનું છું. આ ભવ્ય વારસાને સાચવીને આગામી પેઢી સુધી સંપૂર્ણ પવિત્રતા સાથે પહોંચાડવાની એક મોટી જવાબદારી હું મારી અંદર અનુભવું છું.”

ડિજિટલ યુગના વિક્ષેપો વચ્ચે આત્મચિંતન

આજના ડિજિટલ યુગમાં, જ્યાં સતત વધતા વિક્ષેપો (distractions) વચ્ચે માણસ સતત દોડી રહ્યો છે, શું ભક્તિ પરંપરા લોકોને આંતરિક શાંતિ આપી શકે? આ સવાલના જવાબમાં તેઓ ભારે આત્મવિશ્વાસ સાથે કહે છે: “ચોક્કસપણે. ભક્તિ પરંપરા આપણને આત્મચિંતન (introspection), સરળતા અને આંતરિક જાગૃતિ તરફ દોરી જાય છે. આજના ભાગદોડવાળા સમયમાં તે આપણને થોડી ક્ષણ માટે થંભી જવા, પોતાના વિશે વિચારવા અને પોતાની જાત સાથે ફરીથી કનેક્ટ થવાનો એક અમૂલ્ય અવકાશ આપે છે.” ‘અભંગવારી 2026’ દેશના એક શહેરથી બીજા શહેર સુધી સંગીતની સુરાવલીઓ રેલાવશે, પરંતુ રાહુલ દેશપાંડેની આશા છે કે શ્રોતાઓ હોલમાંથી બહાર નીકળે ત્યારે માત્ર સંગીત જ નહીં, પણ સમાનતા, કરુણા અને આત્મમંથનનો એવો લિવિંગ મેસેજ સાથે લઈને જાય, જે સદીઓ પહેલાં જેટલો અર્થસભર હતો, તેટલો જ આજે પણ છે.

culture news indian music maharashtra news