વિભીષણે આપેલી નવ યુક્તિઓ તમે યાદ રાખજો

30 March, 2023 05:12 PM IST  |  Mumbai | Morari Bapu

ભક્તિની આ યુક્તિને ક્યારેય ભૂલતા નહીં. એવું લાગે તો એને લખીને આંખ સામે રાખો, જેથી જ્યાં પણ જે યુક્તિ વાપરવાની જરૂર પડે ત્યારે તરત જ તમને આંખ સામે આવી જાય.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

આપણે વાત કરીએ છીએ વિભીષણે હનુમાનજીને દેખાડેલી ભક્તિની ૯ યુક્તિઓની; જેમાં આપણે અભય, અલખ, અશોક માનસિકતા, અશંક, અ-અશુભ, અમૂળ અને અ-અમર્શની આપણે વાત કરી. હવે વાત કરવાની છે આપણે આઠમી યુક્તિની, જે છે અમાન.

આગળનું સૂત્ર છે – અમાન રહેવું. અમાનપણું એ ભક્તિનું લક્ષણ છે. મારામાં જાગૃતિ આવી ગઈ, હું હવે સજાગ થઈ ગયો, જાગ્રત થઈ ગયો એ વાતનો આપણને અહંકાર ન આવવો જોઈએ. આ જે નિરાભિમાનપણું છે એ ભક્તિની યુક્તિ છે અને આ યુક્તિને વિભીષણે અમાનના નામે ઓળખાવી છે.

આઠમી યુક્તિ અમાન પછી આવે છે નવમી યુક્તિ, જે છે અમલ.

અચલ અમલ અનુરાગ ભક્તિનો. નિર્મલતા, નિર્મળતા, જે કહો એ. ‘સરલ સુભાઉ ન મન કટુલાઈ.’

આ પણ વાંચો: બીજાની સફળતાની ઈર્ષ્યા ન થવી એ પણ ભક્તિની યુક્તિ

ભક્તિની આ ૯ પ્રકારની યુક્તિ મારી વ્યાસપીઠને પણ લાગે છે. હનુમાનજીને આ યુક્તિ વિભીષણે બતાવી અને હનુમાનજી ચાલ્યા એ રસ્તે. હવે આપણે જોવાનું છે કે આમાંથી થોડી યુક્તિઓ આપણને આવડી જાય, સમજાઈ જાય તો રામ ભજન સોઈ મુક્તિ... 

મુક્તિની આ યુક્તિઓ મળી જાય એ ઉત્તમ વાત છે, પણ ધારો કે ન મળે, ધારો કે એ બધીનો અમલ ન થઈ શકે તો તો કમસે કમ ભક્તિની યુક્તિ વિભીષણ જેવા સાધુપુરુષે હનુમાનજી સામે મૂકી છે એમાંથી થોડી પણ આપણે જીવનમાં ઉતારી શકીએ, અમલ કરી શકીએ તો મુક્તિ બહુ સુલભ બને અને જ્યારે મુક્તિ સુલભ બને ત્યારે ભક્તિને પામવાની પ્રક્રિયા સાવ સહજ બની જાય. 

ભક્તિની આ યુક્તિને ક્યારેય ભૂલતા નહીં. એવું લાગે તો એને લખીને આંખ સામે રાખો, જેથી જ્યાં પણ જે યુક્તિ વાપરવાની જરૂર પડે ત્યારે તરત જ તમને આંખ સામે આવી જાય. આ સલાહનો મુદ્દો માત્ર એટલો કે તમે જો ઇચ્છતા હશો તો આ યુક્તિ જ તમને ભક્તિના માર્ગ પર એ સ્તરે લઈ જશે જ્યાં પરમાત્માનો સાક્ષાત્કાર થશે અને એ સાક્ષાત્કારમાં તમને ઈશ્વરનો અનુભવ થશે.
હવે આવતા બુધવારે વાત કરીશું એક એવા માનસબોધની જે આંખો ખોલવાની સાથોસાથ ચિત્ત પણ ખોલવાનું કામ કરશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology life and style Morari Bapu