આઝાદી પાછળ અંગ્રેજો પણ એટલા જ જવાબદાર

28 March, 2023 05:43 PM IST  |  Mumbai | Swami Satchidananda

આપણે હિન્દુસ્તાનની આઝાદી અહિંસાથી લીધી છે એવા ખોટા ભ્રમ વચ્ચે બહુ જીવ્યા, હવે એ ભ્રમ ભાગવો અને ભાંગવો જોઈએ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ચુસ્ત અહિંસાવાદીઓ વારંવાર ગાંધીજીની દુહાઈ આપીને કહે છે કે અંગ્રેજોને ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી દેશની બહાર કાઢીને દેશ આઝાદ કરાવ્યો. આ વાત અર્ધસત્ય છે. ગાંધીજીનું અહિંસાનું શસ્ત્ર નહીં, પણ તેમનું ખરું શસ્ત્ર અસહયોગનું હતું. જો પ્રજા શાસક સાથે સતત અસહયોગ કરે તો શાસક શાસન કરી શકે નહીં. બીજું, ગાંધીજીના વિજયમાં સ્વયં ગાંધીજી જેટલા જ અંગ્રેજો પોતે પણ જવાબદાર હતા. અંગ્રેજો કાયદાને માનનારા હતા. કાયદો તૂટી પડે અને અંધાધૂંધ અત્યાચાર કરીને તેઓ રાજ્ય કરવામાં માનતા નહોતા એટલે ક્રમે-ક્રમે અધિકાર આપીને ચાલ્યા ગયા. અંગ્રેજોની જગ્યાએ રશિયનો કે મુસ્લિમ શાસકો હોત તો ગાંધીજી સફળ થઈ શક્યા ન હોત અને આ નગ્ન વાસ્તવિકતા છે એ ક્યારેય ભૂલતા નહીં. હજી એક અગત્યની વાત, જો અહિંસાથી જ દેશ આઝાદ થયો હોત તો જૂનાગઢની લડાઈ અહિંસાથી ટાળી શકાઈ હોત. એ વખતે તો ગાંધીજી જીવતા હતા. આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢની લડાઈ શસ્ત્રોથી કરવી પડી હતી, કેમ? કારણ કે સામા પક્ષે અંગ્રેજો નહીં, મુસ્લિમો હતા. 

જૂનાગઢની જેમ જ નિઝામની સાથે પણ હિંસાથી વ્યવહાર કરવો પડ્યો હતો. ગોવાની આઝાદી માટે પણ લડવું પડ્યું અને એ લડાઈમાં હિંસાથી નિર્ણય લેવો પડ્યો હતો. આ બધાં ક્ષેત્રોમાં અહિંસા કેમ કામ ન આવી?

જવાબ છે, સામે અંગ્રેજો નહોતા. કાશ્મીરમાં પણ સેના મોકલવી પડી. ગાંધીજીએ જ કહ્યું હતું કે સેના મોકલીને પણ કાશ્મીરને બચાવી લો. આઝાદી પછીનાં ૫૦ વર્ષમાં આપણે સીમા પર તથા દેશના અંદરના ભાગમાં જેટલી ગોળીઓ ચલાવી છે એટલી અંગ્રેજોએ કદાચ ૨૦૦ વર્ષના શાસનમાં ચલાવી નહીં હોય અને ભારત-પાકિસ્તાનના વિભાજનમાં વસ્તી-પરિવર્તન સમયે જે હિંસા થઈ છે એ કદાચ હજારોમાં નહીં, લાખ્ખોમાં થઈ હશે. 

આપણે હિન્દુસ્તાનની આઝાદી અહિંસાથી લીધી છે એવા ખોટા ભ્રમ વચ્ચે બહુ જીવ્યા, હવે એ ભ્રમ ભાગવો અને ભાંગવો જોઈએ. અહિંસાની લડાઈ, હિંસાની લડાઈ કરતાં વધુ હિંસક અને વધુ બરબાદી લાવનારી કહી શકાય. ફરીથી પુનરાવર્તન કરીને પણ કહેવું પડે છે કે અહિંસાની લડાઈની સફળતા માનવામાં આવે તો એનું શ્રેય અંગ્રેજોના ભાગે પણ જાય. અંગ્રેજો સિવાય બીજા કોઈની સાથે આવી લડાઈ સફળ થઈ શકી નહોતી અને એના પુરાવા પણ ઇતિહાસમાં છે, જે તમારી સામે મૂક્યા.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda life and style