‘ધ રેલવે મેન’ આપશે ભોપાલ ગૅસના હીરોને શ્રદ્ધાંજલિ

02 December, 2021 02:00 PM IST  |  Mumbai | Harsh Desai

૧૯૮૪ની દુર્ઘટના પરથી યશરાજ ફિલ્મ્સે બનાવેલા વેબ-શોમાં આર. માધવન, કે. કે. મેનન, બબિલ ખાન અને દિવ્યેન્દુ શર્મા દેખાશે

ધ રેલવે મેન

૩૭ વર્ષ પહેલાં થયેલી ભોપાલ ગૅસની દુર્ઘટનાના એ જ દિવસે યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા એ  વિષય પર તેમનો પહેલો વેબ-શો બનાવવાની જાહેરાત કરી છે. ૧૯૮૪ની બીજી ડિસેમ્બરે આ ઘટના ઘટી હતી. આ દિવસે ભોપાલમાં ત્રાહિમામ થઈ ગયું હતું અને ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં. યશરાજ ફિલ્મ્સે ઓટીટી માટે ૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું અને એમાંથી એક જ પ્રોજેક્ટ માટે તેમણે સો કરોડ ફાળવ્યા હતા. આ પ્રોડક્શન-હાઉસ તેમના પ્રોજેક્ટ દ્વારા ઓટીટીને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે. તેઓ હાલમાં પાંચ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ૧૯૮૪માં ભોપાલ ગૅસ દુર્ઘટનાના હીરોને આ વેબ-શો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના સમયે ભોપાલ રેલવે સ્ટેશન પર કામ કરનારા કર્માચારીઓએ ખૂબ જ ઉમદા કામ કર્યું હતું. તેમણે હજારો લોકોનો જીવ બચાવ્યો હતો. આ વેબ-શોને શિવ રવૈલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. તે ઘણા સમયથી આદિત્ય ચોપડાના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યો હતો અને હવે તે આ શો દ્વારા ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. આ શો માટે આર. માધવન, કે. કે. મેનન, દિવ્યેન્દુ શર્મા અને ઇરફાનના દીકરા બબિલ ખાનને પસંદ કરવામાં આવ્યા છે. આ શોમાં તેમની સાથે અન્ય ઘણા ઍક્ટર્સને પસંદ કરવામાં આવ્યા છે જેમની જાહેરાત પછીથી કરવામાં આવશે. ‘ધ રેલવે મેન’નું શૂટિંગ ગઈ કાલથી શરૂ કરવામાં આવ્યું છે. યશરાજ ફિલ્મ્સના અક્ષય વિધાને કહ્યું હતું કે ‘ભોપાલ ગૅસ દુર્ઘટના દુનિયાની સૌથી ખતરનાક ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક છે. ૩૭ વર્ષ પહેલાં થયેલી આ ઘટનાની અસર ઘણા લોકો પર પડી હતી. વાયઆરએફમાં અમે દર્શકો માટે એકદમ ઉત્તમ સ્ટોરીઓ લઈને આવવાની કોશિશ કરતા રહીશું. આ પ્રોજેક્ટ એ ઘટનાના હીરોને અમારા તરફથી એક શ્રદ્ધાંજલિ છે. આ લોકોએ હાજારો લોકોનો જીવ બચાવ્યો હતો, જે વિશે દુનિયાભરના મોટા ભાગના લોકો અજાણ છે.’
૧૯૮૪ની બીજી ડિસેમ્બરે અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશનની એક કિટનાશક ફૅક્ટરીમાંથી મિથાઇલ આઇસોસાઇનેટ ગૅસ લીક થયો હતો. એ રાતે પાંચ લાખથી વધુ લોકો એ ઝેરીલા ગૅસનો શિકાર બન્યા હતા અને લગભગ પાંચ હજાર લોકોનાં એ દિવસે મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ જે પણ લોકો બચ્યા હતા એમાંના ઘણાને કૅન્સર અને શ્વાસને લગતી તકલીફો થઈ હતી તેમ જ રોગ પ્રતિકારકશક્તિ પણ ઓછી થઈ જવા જેવી ઘણી બીમારીઓનો ભોગ બન્યા હતા. આ શોને ૨૦૨૨ની બે ડિસેમ્બરે જ સ્ટ્રીમ કરવામાં આવશે. વાયઆરએફના કાર્યકારી પ્રોડ્યુસર યોગેન્દ્ર મોગરેએ કહ્યું હતું કે ‘અમારી ‘ધ રેલવે મેન’ એ ઘટનાના હીરોની ભાવના, હિમ્મત અને માનવતાને સલામી આપશે. આ એક એવી સ્ટોરી છે જે દુનિયા સામે લાવવી જરૂરી છે. આ સ્ટોરીને દુનિયાભરના લોકો સામે રજૂ કરવા માટે અમે કોઈ કસર છોડવા નથી માગતા. ભારતની આ ઘટનાને કારણે સરજાયેલી તારાજીને લોકો સમજી શકે એ અમારા માટે મહત્ત્વનું છે.’

entertainment news Web Series web series r. madhavan kay kay menon divyendu sharma harsh desai