29 January, 2020 03:24 PM IST | Mumbai | Harsh Desai
શરવરી વાઘ
‘ધ ફોર્ગોટન આર્મી’ને લઈને મળેલી વાહ-વાહીથી શરવરી વાઘ ખૂબ જ ઉત્સાહિત છે. ઇન્ડિયન નૅશનલ આર્મી પર બનેલી કબીર ખાનની વેબ સિરીઝ ‘ધ ફોર્ગોટન આર્મી’ દ્વારા શરવરીએ તેનું ડિજીટલ ડેબ્યુ કર્યું છે. આ શોમાં તેણે માયાનું પાત્ર ભજવ્યું છે જે ભારતની આઝાદી માટે ઇન્ડિયન નૅશનલ આર્મીની રાણી ઝાંસી રેજિમેન્ટમાં જોડાઈ હતી. તેના પાત્રના ક્રિટીક્સ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. તેને મળેલા રિસ્પોન્સ વિશે પૂછતાં શરવરીએ કહ્યું હતું કે ‘આ મારી લાઇફનો ખૂબ જ સારો સમય છે. ક્રિટીક્સ અને દર્શકો બન્નેએ મારા પાત્રના વખાણ કર્યાં એથી હું હાલમાં સાતમાં આસમાને છું. માયાના પાત્રને દર્શકો સામે જીવંત કરવામાં મેં ઘણી તૈયારી અને મહેનત કરી છે અને એથી જ મને મળેલાં રિસ્પોન્સથી હું ખુશ છું.’
આ વેબ શોમાં તો તેણે અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યું છે અને હવે તે યશરાજ ફિલ્મ્સની ‘બંટી ઔર બબલી ૨’માં જોવા મળશે. ‘ધ ફોર્ગોટન આર્મી’ વિશે વાત કરતાં શરવરીએ કહ્યું હતું કે ‘મારી ‘ધ ફોર્ગોટન આર્મી’નું જ્યારે પ્રીમિયર થયું ત્યારે હું ઉત્સાહિત હોવાથી સાથે થોડી નર્વસ પણ હતી. આ મારો પહેલો પ્રોજેક્ટ હતો અને મારી ક્ષમતાની ટેસ્ટ પણ હતી. આ શોને પસંદ કરનાર દરેક વ્યક્તિનું હું આભારી છું અને હું દિલથી તેમને ધન્યવાદ કહું છું. મારા જેવા યુવાન ઍક્ટર્સ માટે કામને લઈને જે પોઝિટીવ રિસ્પોન્સ મળે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. એનાથી અમને ખબર પડે છે કે અમે યોગ્ય દિશામાં જઈ રહ્યાં છીએ. આ ક્ષણને હું શબ્દોમાં રજૂ નથી કરી શકતી.’