21 December, 2020 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનસી પારેખ ગોહિલ
માનસી પારેખ ગોહિલનું માનવું છે કે ગુજરાતી વેબ-શો ‘ડૂ નૉટ ડિસ્ટર્બ’ની સીઝન 2 લોકોને ભરપૂર મનોરંજક ડ્રામા પીરસશે. આ શોમાં તેની સાથે મલ્હાર ઠાકર પણ જોવા મળશે. આ શોને સંદીપ પટેલે ડિરેક્ટ કર્યો છે. શોની સ્ટોરી મૅરિડ કપલ મીરા અને મૌલિકની છે. એ પાત્રો માનસી અને મલ્હારે ભજવ્યાં છે. 23 ડિસેમ્બરે MX પ્લેયર પર આ શો રિલીઝ થશે. શો વિશે માનસીએ કહ્યું હતું કે ‘આ લોકોનો પ્રેમ જ છે કે અમે મૌલિક અને મીરાને ફરીથી જીવંત કર્યાં છે. ‘ડૂ નૉટ ડિસ્ટર્બ’ની સીઝન 2ને લાવીને અમે ખૂબ ખુશ છીએ. તેમનાં લગ્નને ૭ વર્ષ વીતી ગયાં છે. જોકે તેમનો સંબંધ ન તો જૂનો છે કે ન તો નવો છે. જોકે સંબંધોમાં ફરીથી મધુરતા લાવવા માટે જે સ્થિતિ નિર્માણ કરવામાં આવશે એનાથી લોકોને આ સીઝનમાં અતિશય ડ્રામા જોવા મળશે.’
આ સીઝન વિશે મલ્હારે કહ્યું હતું કે ‘અમારી જોડી ‘ગોલકેરી’થી જ સુપરહિટ બની ગઈ હતી. એથી માનસી અને ડિરેક્ટર સંદીપ પટેલ સાથે ફરીથી કામ કરવાની તક મળતાં મને ખૂબ ખુશી થઈ છે. ૭ને સ્પેશ્યલ આંકડો ગણવામાં આવે છે. મીરા અને મૌલિકના સંબંધોને ૭ વર્ષ થતાં દર્શકોને ઘણુંબધું જોવા મળશે. શોમાં દેખાડવામાં આવનાર અનેક અડચણોથી આ સીઝનમાં ઇમોશનની રોલર કોસ્ટર રાઇડ જોવા મળશે.’