14 June, 2022 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તાનું કહેવું છે કે તે પોતાના આત્માની શાંતિ માટે અથવા તો પૉકેટને શાંતિ મળે એ માટે કામ કરે છે. તેની હાલમાં જ ‘આશ્રમ 3’ રિલીઝ થઈ છે. તેની ફિલ્મો અથવા તો પ્રોજેક્ટને પસંદ કરવાની સ્ટાઇલ હવે બદલાઈ ગઈ છે. તે આ શોમાં બાબા નિરાલાની ઇમેજ મૅનેજર તરીકે કામ કરતી હોય છે. આ વિશે વાત કરતાં ઈશાએ કહ્યું હતું કે ‘મેં ખૂબ જ યુવાનીમાં મારી ઇન્ડિપેન્ડન્ટ લાઇફ જીવવાનું શરૂ કરી દીધું હતું. એવા પણ દિવસ હતા જ્યારે સ્ટુડન્ટ તરીકે હું મારી પૉકેટ મની માટે કૅફેમાં કામ કરતી હતી. જોકે આટલાં વર્ષ બાદ મેં એક પૅરામીટર બનાવી દીધું છે. મારા ઍક્ટિંગ પ્રોજેક્ટ મારા આત્માને અથવા તો મારા પૉકેટને સંતોષકારક હોવા જોઈએ. જો મને કોઈ પ્રોજેક્ટ માટે સારા પૈસા ન મળી રહ્યા હોય તો એ પાત્ર ઍક્ટર તરીકે મારા માટે ચૅલેન્જિંગ હોવું જોઈએ. નહીંતર એ પાત્ર ભજવીને મને શું મળવાનું? જોકે ભગવાનની કૃપાથી હું સારું કામ કરી રહી છું અને મારા ઘરનું રસોડું ચલાવવા માટે જ કામ નથી કરતી. હું મારી લાઇફના એ સ્ટેજ પર પહોંચી ગઈ છું કે મને સંતોષ મળે એવું કામ હું કરી શકું.’