26 October, 2021 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ ઝા
પ્રકાશ ઝાના ‘આશ્રમ 3’ના સેટ પર બજરંગ દળના કાર્યકરોએ કરેલા હુમલાની હંસલ મહેતાએ અને સંજય ગુપ્તાએ નિંદા કરી છે. પ્રકાશ ઝા દિલ્હીમાં આ વેબ-સિરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ પ્રકાશ ઝા પર શાહી ફેંકી અને પથ્થરમારો કર્યો હતો. એની સાથોસાથ સેટ પર પણ ખાસ્સું નુકસાન પહોંચાડ્યુ હતું, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તેમના કહ્યા મુજબ આ વેબ-સિરીઝ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ પર પ્રહાર છે. એને કારણે તેમની ધાર્મિક લાગણી દુભાય છે. પ્રકાશ ઝા પર થયેલા હુમલાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને હંસલ મહેતાએ ટ્વીટ કર્યું હતું, ‘ઠીક ૨૧ વર્ષ પહેલાંનું દૃશ્ય યાદ આવે છે જ્યારે મુંબઈમાં શિવસેનાના કેટલાક લોકોએ એક નવા ડિરેક્ટરના ચહેરા પર શાહી ફેંકી હતી. આપણે ત્યારે ચૂપ રહ્યા હતા એ ખામોશીનું જ આ પરિણામ છે. દોષ જેટલો એ ગુંડાઓનો છે એટલો જ દોષ આપણો પણ છે.’
બીજી તરફ આ ઘટનાની નિંદા કરતાં ટ્વિટર પર સંજય ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઘૃણાસ્પદ!! બૉબી દેઓલની ‘આશ્રમ’ના સેટ પર હુમલો કરવામાં આવ્યો. બજરંગ દળના કાર્યકરોએ પ્રકાશ ઝા અને તેમના ક્રૂની મારઝૂડ કરીને શૂટિંગ બંધ કરાવ્યું.’