30 November, 2020 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કપિલ શર્મા
આમ તો કપિલ શર્મા (Kapil Sharma) તેની કૉમેડીને કારણે સુપર પૉપ્યુલર છે પણ તે રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચાર સોશ્યલ મીડિયા પર બિંધાસ્ત શૅર કરે છે. ખેડૂતોના આંદોલન અંગે તેણે તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું અને પોતે આ અંગે શું વિચારે છે તે લખ્યું. કપિલે લખ્યું કે, "ખેડૂતોના મુદ્દાને રાજનૈતિક રંગ ન આપી વાતચીત કરીને આ મામલો ઉકેલવો જોઇએ, કોઇ મુદ્દો ક્યારેય એટલો મોટો નથી હોતો કે વાતચીત કરવાથી તેનો ઉકેલ ન મળે. આપણે બધાં દેશવાસીઓએ આ ખેડૂતભાઇઓની સાથે છીએ. તેઓ આપણા અન્ન દાતા છે."
કપિલ શર્માના આ ટ્વીટ સામે એક યૂઝરે કોમેન્ટ કરી કે, "કૉમેડી કર ચુપચાપ, રાજનીતિ કરવાનો પ્રયાસ ન કર. બહુ ખેડૂતોના હિતનો વિચાર ન કર અને તારું જે કામ છે એની પર ફોકસ કર."
જો કે કપિલ શર્માએ આ અપમાનનો પણ સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે, "ભાઇ સાબેહ હું તો મારું કામ જ કરું છું, તમે પણ કરો. દેશભક્ત લખવાથી કોઇ દેશભક્ત નથી થઇ જતું, કામ કરો અને દેશના વિકાસમાં યોગદાન આપો, 50 રૂપિયાનું રિચાર્જ કરાવીને ફાલતુ જ્ઞાન ન આપો, થેંક્યુ."
કપિલ શર્માએ આ યૂઝરને આવો જવાબ આપીને પોતાના મુદ્દાનું વજન જાળવ્યું તથા તે માત્ર કૉમેડીનો સરતાજ નથી પણ એક જાગૃત નાગરિક છે તેની સાબિતી પણ આપી.