તનાઝ ઈરાની કહાં હમ કહાં તુમ શા માટે છોડી રહી છે?

11 November, 2019 02:02 PM IST  |  Mumbai | Parth Dave

તનાઝ ઈરાની કહાં હમ કહાં તુમ શા માટે છોડી રહી છે?

તનાઝ ઈરાની

અઢળક સિરિયલો તથા ફિલ્મો કરી ચૂકેલી તનાઝ ઈરાની હાલ સ્ટાર પ્લસ પર ચાલી રહેલા શો ‘કહાં હમ કહાં તુમ’માં ડૉ. નિશી સિપ્પીનું પાત્ર ભજવી રહી છે. કરણ ગ્રોવર અને દીપિકા કક્કરને લીડ રોલમાં ચમકાવતી આ સિરિયલમાં તનાઝનું પાત્ર પણ મહત્ત્વનું છે. તે આ સિરિયલનું મુખ્ય નેગેટિવ પાત્ર ભજવી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે તે આ શો છોડી રહી છે.
૯૦ના દાયકામાં આવતી ‘ઝબાન સંભાલ કે’ સિરિયલ દ્વારા જાણીતી થયેલી તનાઝ તેનાં સંતાનો માટે આ શો છોડી રહી છે. તેણે કહ્યું કે ‘જ્યારે હું બીજી વખત માતા બની ત્યારે મેં ટીવીમાંથી લૉન્ગ બ્રેક લઈ લીધો હતો. ત્યાર પછી મને આ ‘કહાં હમ કહાં તુમ’ની ઑફર થઈ. મને થયું કે હું કામ અને ઘર બન્નેને મૅનેજ કરી શકીશ, પણ હવે મને લાગે છે કે મારાં બાળકો મને મિસ કરી રહ્યાં છે અને તેમને મારી જરૂર છે.’
તનાઝે શોના પ્રોડ્યુસર સાથે વાત કરી છે અને તેઓ ડૉ. નિશી સિપ્પીના પાત્રની વાર્તા તથા એ પાત્ર માટે ઍક્ટ્રેસ વિશે વિચારી રહ્યા છે. તનાઝે કહ્યું કે ‘મને આ શો બહુ જ ગમે છે અને હું ડૉ. નિશીના પાત્રને મિસ કરીશ, પણ આખરે માતૃત્વ જીત્યું, બીજું શું!’
બ્રિટિશ સીટ-કૉમ ટીવી-સિરીઝ ‘માઇન્ડ યૉર લૅન્ગ્વેજ’ પરથી બનેલા ‘ઝબાન સંભાલ કે’ ઉપરાંત તનાઝે ‘શુભ મંગલ સાવધાન’ અને ‘મિલે જબ હમ તુમ’ જેવી ધારાવાહિકોમાં પોતાની અદાકારીથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

tv show