27 March, 2020 02:43 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શ્વેતા તિવારી
ટેલીવિઝન જગતનો લોકપ્રિય ચહેરો અને વર્તમાનમાં સોની ટીવીના શો ‘મેરે ડેડ કી દુલ્હન’માં ગુનીત સિક્કાના રોલથી દર્શકોનું દિલ જીતનારી શ્વેતા તિવારીએ ક્વોરન્ટીન અંગે પોતાના વિચારો શેર કર્યા છે. તે કહે છે કે, ‘ઘરે રહેવાનું કામ જરાય બોરિંગ નથી. મારા માટે તો આ એક આશીર્વાદ છે. તમે કઈ રીતે આ બાબતને જુઓ છો તેના પર નિર્ભર છે. તમે જે કામ હંમેશાથી કરવા માગતા હતા પણ સમયના અભાવે એ શક્ય ન બન્યું હોય તો એ કામ કરવા માટે આ ઉત્તમ સમય છે. પુસ્તકોનું વાંચન હોય કે લેખન, કુકિંગ હોય કે વર્કઆઉટ, ફેમિલી સાથે રહેવા માગતા હો કે પછી ફક્ત સૂવા માગતા હો! આ સમયમાં બધું કરી લેવું જોઈએ. મારી વાત કરું તો મને વાંચનનો બહુ શોખ છે અને ક્લાસિક ગીતો સાંભળવા પણ ગમે છે. રીડિંગ કરવાથી કે જૂના ગીતો સાંભળવાથી મને શાંતિ પ્રાપ્ત થાય છે.’
કોરોનામાં સાવચેતી અંગે અભિનેત્રીનું કહેવું છે કે, ‘આ લૉકડાઉનનો હેતુ સુરક્ષિત રહેવાનો છે અને આપણા પ્રિયજનોને પણ સુરક્ષિત રાખવાનો છે. વૈશ્વિક સ્તરે આ મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ઘરે રહીને આપણે કોરોના ચેઈન તોડવી અનિવાર્ય છે.’