રીલથી રિયલ સુધીનો ટીવી-કલાકારોનો પ્રેમ

19 October, 2011 06:11 PM IST  | 

રીલથી રિયલ સુધીનો ટીવી-કલાકારોનો પ્રેમ

 

લાંબા શૂટિંગ-શેડ્યુલ અને ઑનસ્ક્રીન જોડી તરીકે તેમને જે રીતે પસંદ કરવામાં આવે છે એને કારણે તેમનો આ રોમૅન્સ હકીકતમાં આકાર લેતો જોવા મળ્યો છે. નજર કરીએ આવી અમુક ટીવી પરની જોડીઓ પર...

સુશાંત સિંહ રાજપૂત-અંકિતા લોખંડે

ઝી-ટીવી પરની ‘પવિત્ર રિશ્તા’ તેમની પર્સનલ લાઇફના ‘રિશ્તા’ માટે પણ કારણભૂત બની છે. બે વર્ષથી ચાલતી આ સિરિયલ ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ)માં ટોચ પર છે અને

માનવ-અર્ચનાની આ ઑનસ્ક્રીન જોડીની રિયલમાં પણ લવસ્ટોરી ઘણી પ્રખ્યાત થઈ છે. સોની ટીવી પરના ‘ઝલક દિખલા જા’માં શો દરમ્યાન જ સુશાંતે અંકિતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

નંદીશ સંધુ-રશ્મિ દેસાઈ

કલર્સ ચૅનલ પરના ‘ઉતરન’માં આ જોડીએ પહેલી વખત સાથે કામ કર્યું હતું. રશ્મિના કહેવા મુજબ નંદીશને મળી એ પહેલાં સુધી તે માત્ર કામને જ મહત્વ આપતી હતી, પણ પછી બધું બદલાઈ ગયું હતું. શૂટિંગના લાંબા શેડ્યુલ દરમ્યાન સાથે રહેવાને કારણે રશ્મિને નંદીશની પર્સનાલિટી અને સ્વભાવ ઘણાં પસંદ પડ્યાં હતાં અને તેમની વચ્ચે પ્રેમ થયો હતો. થોડા સમય પહેલાં જ તેમણે લગ્ન કર્યા છે.

ગુરમીત ચૌધરી-દેબિના બૉનરજી

‘રામાયણ’માં સાથે કામ કર્યું ત્યારે રામ અને સીતાના રોલ કરનારા આ બે કલાકારોની જોડી રિયલ લાઇફમાં પણ પ્રેમમાં પડી હતી. ત્યાર પછી રિયલિટી-શો ‘પતિ, પત્ની ઔર વો’માં ગુરમીતે દેબિનાને પ્રપોઝ કર્યું

હતું. જોકે દેબિના કહે છે કે ‘રામાયણ’ પહેલાં જ એક ટૅલન્ટ હન્ટ શોમાં સાથે ભાગ લીધો હતો ત્યારે તેમની મુલાકાત થઈ હતી અને તેઓ ઘણાં સારાં મિત્ર બન્યાં હતાં. બન્ને માને છે કે ‘રામાયણ’માં સાથે કામ કરવાથી તેઓ ઘણા ક્લોઝ આવી ગયાં હતાં. તેમણે એક વર્ષ પહેલાં લગ્ન કર્યા છે.

અવિનાશ સચદેવ-રુબીના દિલૈક

ઝી ટીવી પરની ‘છોટી બહૂ’ની દેવ અને રાધિકાની જોડી જ્યારે પહેલી વખત મળી ત્યારે તેમની વચ્ચે મિત્રતા પણ નહોતી થઈ અને એકબીજાને તેઓ ઘણાં અભિમાની સમજતાં હતાં. જોકે શૂટિંગ દરમ્યાન તેઓ ઘણાં ક્લોઝ આવ્યાં હતાં. સિરિયલ તો હવે બંધ થઈ ગઈ છે, પણ એક અલગ સ્ટોરી સાથે શરૂ થનારી આ સિરિયલમાં જોડી ફરીથી જોવા મળશે.

કરણ કુન્દ્રા-કૃતિકા કામરા


એનડીટીવી ઇમૅજિન પરની ‘કિતની મોહબ્બત હૈ’ના ઑડિશન દરમ્યાન જ્યારે એકતા કપૂરે આ જોડી વચ્ચેની કેમિસ્ટ્રી જોઈ ત્યારે તરત જ તેમને શો માટે લેવામાં આવ્યાં હતાં. જોકે એ સમયે ખુદ એકતાને પણ ખબર નહીં હોય કે આ સિરિયલ તેમની લવ-લાઇફ માટે નિમિત્ત બનવાની હતી. સાતથી આઠ મહિનાના શૂટિંગમાં જ તેઓ એકબીજાની ઘણાં નજીક આવી ગયાં હતાં. આજે તેઓ સાથે કામ નથી કરી રહ્યાં, પણ તેમનો પ્રેમ હજી અકબંધ છે.

રોહિત પુરોહિત-વિભા આનંદ

ઝી ટીવી પરની ‘સંસ્કાર લક્ષ્મી’ ભલે થોડા દિવસ પહેલાં જ પૂરી થઈ હોય, પણ વિભા આનંદ અને રોહિત પુરોહિતની લવસ્ટોરીનો પાયો આ સિરિયલે જ મૂક્યો હતો. બન્ને વચ્ચેના સંબંધોની ચર્ચા તો સેટ પર ઘણા ઓછા સમયમાં થવા લાગી હતી, પણ વિભાના કહેવા મુજબ ત્યારે તેઓ પ્રેમમાં નહોતાં. જોકે વિભા એમ પણ માને છે કે તેને રોહિતનો સ્વભાવ પહેલાંથી જ ઘણો પસંદ હતો અને જ્યારે શો ખતમ થયો ત્યારે તે રોહિતને ઘણો મિસ કરતી હતી. ત્યારે બન્નેને ખાતરી થઈ હતી કે તેઓ એકબીજા વગર રહી શકે એમ નથી.

રવિ દુબે-સગુર્ન મેહતા

ઝી ટીવી પરની ‘૧૨/૨૪ કરોલ બાગ’માં તેમની મુલાકાત થઈ હતી અને ઘણા સમયથી તેમના પ્રેમસંબંધો વિશે ચર્ચા ચાલી રહી છે, પણ તેમણે ક્યારેય જાહેરમાં કબૂલ્યું નથી. અત્યારે બન્ને અલગ શોમાં કામ કરી રહ્યાં છે.

આ લવસ્ટોરીઓ પણ સેટ પર

માનવ ગોહિલ-શ્વેતા કવાત્રા (‘કહાની ઘર ઘર કી’)

મૌલી ગાંગુલી-મઝહર સૈયદ અને યશ ટૉન્ક-ગૌરી (‘કહીં કિસી રોઝ’)

ગુરદીપ કોહલી-અજુર્ન પુંજ (‘સંજીવની’)

હિતેન તેજવાણી-ગૌરી પ્રધાન (‘કુટુંબ’)

સઈ દેવધર-શક્તિ આનંદ (‘સારા આકાશ’)